નવી દિલ્હીઃ ગુજરાતમાં સીઝનનો 100 ટકા કરતાં પણ વધારે પરસાદ પડી ગયો છે. ત્યારે હજુ આગામી 4 દિવસ સુધી રાજ્યના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શેક છે. જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જ્યારે અમદાવાદ શહેરમાં સામાન્યથી હળવો વરસાદ પડે તેવી શક્યતા છે.


આગાહી અનુસાર, સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, પોરબંદર, અમરેલી, જૂનાગઢ, ભાવનગરમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, દમણમાં ભારે વરસાદ પડી શકે છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા તેમજ વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરતમાં ભારે વરસાદ પડી શકે છે.

સમગ્ર રાજ્યમાં ધોધમાર વરસાદ પડવા છતાં વાતાવરણમાં ઉકળાટ વધ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી વાતાવરણમાં ભેજનું પ્રમાણ સતત વધતાં બફારો વધ્યો છે. જેથી અસહ્ય ઉકળાટમાં લોકો હેરાન-પરેશાન બની ચૂક્યાં છે. પરશેવે રેબઝેબ બનેલા લોકો સતત એરકન્ડીશનનો સહારો લઈ રહ્યાં છે.

ગુજરાતમાં મેઘરાજાએ મહેર વરસાવી છે. ચાલુ વર્ષે ગુજરાતમાં 109.9 ટકા વરસાદ પડી ચુક્યો છે. અહીં જુદા જુગા વિસ્તારોની વાત કરવામાં આવે તો અમદાવાદમાં 25 ઈંચ, સાણંદમાં 30 ઇંચ, ખેડાના મહુધામાં 41 ઈંચ, ખેડામાં 26 ઈંચ, આણંદંમાં 45 ઈંચ વરસાદ પડ્યો છે. તો વડોદરામાં 66 ઈંચ, ડભોઈમાં 55 ઈંચ, છોટાઉદેપુરમાં, 77 ઈંચ, કવાંટમાં 83 ઈંચ, જાંબુઘોડામાં 61 ઈંચ અને બાલાસિનોરમાં 30 ઈંચ વરસાદ પડી ચુક્યો છે. દાહોદમાં 33 ઈંચ, અબડાસામાં 29 ઈંચ, નખત્રાણામાં 30 ઈંચ, મહેસાણામાં    30 ઈંચ, સતલાસણામાં    33 ઈંચ અને પોસીનામાં 42 ઈંચ વરસાદ નોંધાયો છે.