રાજ્યના ખેડૂતો પરથી હજુ પણ માવઠાનું સંકટ ટળ્યું નથી. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 3 દિવસ ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસશે અને જો વરસાદ પડે તો ખેડૂતોના પાકને મોટું નુકસાન પહોંચાડી શકે છે.


હવામાન વિભાગ અનુસાર આજે દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં વરસાદ પડી શકે છે. 10 તારીખે વલસાડ, નવસારી, નર્મદા, તાપી, દાહોદ, નવસારીમાં માવઠું પડશે. આગામી પાંચ દિવસ અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે. 11 તારીખ બાદ રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધવાની શક્યતા છે.

બીજી બાજુ વલસાડ જિલ્લામાં કમોસમી વરસાદના કારણે કેરી પકવતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. હાલ કેરીના પાકમાં મંજરી ફૂટવાનો સમય છે અને ખેડૂતોએ દવા છાંટવાનું શરૂ કર્યું છે. પરંતુ વરસાદના કારણે દવા ધોવાઈ જાય તેવી આશંકા છે. તો જે મંજરી મોટી થઈ ગઈ છે તેમાં આ કમોસમી વરસાદના કારણે ફૂગ અને પેસ્ટનો ઉપદ્રવ થવાની ભીતિ છે.

વલસાડમાં કેરીના પાકની સાથે કઠોળના પાકને પણ નુક્સાન થવાની શક્યતા છે. વલસાડ જિલ્લામાં કેરીનો પાક એ મુખ્ય પાક છે અને 70 ટકા ખેડૂતોની વર્ષભરની આવક આ પાક પર નિર્ભર છે. પરંતુ આ કમોસમી વરસાદના કારણે 35 હજાર હેકટરમાં કેરીના પાકને નુકસાન થઈ શકે છે.

નવસારીના ગ્રામ્ય પંથકમાં કમોસમી વરસાદે ખેડૂતોની આશા પર પાણી ફેરવી દીધું છે. વરસાદને કારણે કેરી, શેરડી અને ડાંગરના પાકને વ્યાપક નુકસાન થયું છે. કેરીના મોર ખરી પડતા નુકસાન થયું છે. તો ડાંગરનો ધરૂ ભીંજાઈ જતા ખેડૂતોને નુકસાન થયું છે. જ્યારે શેરડી માટે કરાયેલી પાળ ફરી બનાવવાની ફરજ પડી છે. ત્યારે હવે ખેડૂતો સરકાર પાસે કમોસમી વરસાદથી થયેલી નુકસાની અંગે સહાયની માગ કરી રહ્યા છે.