ગાંધીનગર : રાજ્યમાં સવારના છ વાગ્યાથી લઈને સાંજના 4 વાગ્યા સુધીમાં 114 તાલુકામાં વરસાદ નોંધાયો છે. દેવભુમિ દ્વારકાના ખંભાળિયામાં સૌથી વધુ 11.4 ઇંચ વરસાદ નોંધાયો છે. જામનગરના જામજોધપુરમાં 6.7 ઇંચ વરસાદ વરસ્યો છે.


છેલ્લા 10 કલાકમાં સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લાના આઠ તાલુકાઓમાં ચાર ઈંચથી લઈને 12 ઈંચ સુધીનો વરસાદ પડ્યો છે. આજે જામખંભાળીયામાં 12 ઈંચ વરસાદ વરસ્યો છે. જામ જોધપુરમાં સાત ઈંચ, ભાણવડમાં છ ઈંચ વરસાદ વરસ્યો છે. કલ્યાણપુરમાં પોણા પાંચ ઈંચ, માણાવદરમાં સાડા ચાર ઈંચ, કુતિયાણામાં સાડા ચાર અને રાણાવાવમાં સવા ચાર ઈંચ વરસાદ વરસ્યો છે.

પોરબંદરમાં પોણા ચાર ઈંચ, જામનગર , ઉપલેટા , દ્વારકા, કાલાવડ અને વંથલી તાલુકામાં ત્રણ-ત્રણ ઈંચ વરસાદ નોંધાયો છે. મુંદ્રામાં અઢી ઈંચ, જૂનાગઢમાં પોણા બે ઈંચ વરસાદ વરસ્યો છે. ધોરાજી, કચ્છના માંડવીમાં દોઢ-દોઢ ઈંચ વરસાદ વરસ્યો છે. જલાલપોર,મેંદરડા,કેશોદ,ધ્રોલ,જોડીયા તાલુકામાં પણ એક એક ઈંચ વરસાદ વરસ્યો છે.


જામનગરના જામજોધપુર પંથકમાં છેલ્લા બે દિવસથી સતત મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. આજે સવારે 8 વાગ્યાથી સાંજના ચાર વાગ્યા સુધીમાં જામજોધપુરમાં છ ઈંચ વરસાદના પગલે જળબંબાકારની સ્થિતિ નિર્માણ પામી છે. છ ઈંચ વરસાદના પગલે જામજોધપુરના અનેક વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતાં.