ગાંધીનગર : રાજ્યમાં સાંજના ચાર વાગ્યા સુધીમાં 131 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ જામનગરના કાલાવડમાં પોણા ત્રણ ઈંચ વરસાદ નોંધાયો છે. ગીર સોમનાથના વેરાવળમાં 1.88 ઈંચ, જામનગરના ધ્રોલમાં 1.88 ઈંચ, અરવલ્લીના મોડાસામાં 1.81 ઈંચ, જુનાગઢના મેંદરડામાં 1.81 ઈંચ, ગીર સોમનાથના ગીર ગઢડામાં 1.65 ઈંચ. ગીરસોમનાથના સૂત્રાપાડામાં 1.61 ઈંચ વરસાદ નોંધાયો છે.


જામનગરના કાલાવડ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં આજે એક કલાકમાં ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો હતો. તાલુકાના સરવાણિયા, સનાળા, લલોઇ, બાંગા, મછલીવડ, બેડીયા સહિતના ગામોમાં જોરદાર વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતોચ. ગ્રામ્ય વિસ્તારોમાં કેટલાય ખેતરમાં પાણી ફરી વળ્યા હતા. સનાળા અને સરવાણીયા ગામોમાં જોરદાર વરસાદના કારણે કાલાવડની ફલકુડી નદી બે કાંઠે વહેતી થઈ છે.

સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો છે. જેમાં રાજકોટ, જૂનાગઢ, જામનગર, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ સહિતના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો છે.