આજથી રાજ્યમાં વરસાદનું જોર ઘટશે પણ આ તારીખથી ફરી રાજ્યમાં ભારે વરસાદ પડવાની આગાહી
એબીપી અસ્મિતા વેબ ટીમ | 26 Aug 2020 07:31 AM (IST)
મેઘરાજા મન મૂકીને વરસતા જળાશયોમાં પાણીની સતત આવક થઈ રહી છે. રાજ્યમાં 89 ડેમ નવા નીરથી છલકાઈ ચૂક્યા છે.
અમદાવાદઃ રાજયમાં વરસી રહેલા ભારે વરસાદ વચ્ચે રાહતના સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગના મતે આજથી રાજયમાં વરસાદનું જોર ઘટશે. રાજયમાં 28 તારીખ સુધી ભારે વરસાદની શક્યતા નહીંવત છે. જો કે, બંગાળની ખાડીમાં સર્જાયેલા વેલમાર્ક લો પ્રેશરના કારણે 29 તારીખે રાજયમાં ફરી એકવાર ભારેથી અતિભારે વરસાદ વરસવાની શક્યતા છે. રાજયમાં અત્યાર સુધીમાં સિઝનનો 107 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. રાજ્યમાં અત્યાર સુધી સીઝનનો 107 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. કચ્છમાં સૌથી વધુ 213.57 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જ્યારે સૌરાષ્ટ્ર ઝોનમાં 141.35 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. તો દક્ષિણ ઝોનમાં 92.29 ટકા. ઉત્તર ઝોનમાં 92.22 ટકા અને મધ્ય ગુજરાતમાં 80.35 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. મેઘરાજા મન મૂકીને વરસતા જળાશયોમાં પાણીની સતત આવક થઈ રહી છે. રાજ્યમાં 89 ડેમ નવા નીરથી છલકાઈ ચૂક્યા છે. તો 136 ડેમ છે હાઈએલર્ટ પર છે. જ્યારે 16 ડેમ છે એલર્ટ પર છે. તો સૌરાષ્ટ્રના 140 ડેમમાં 91.52 ટકા પાણીનો જથ્થો છે. તો કચ્છના 20 ડેમમાં 76.17 ટકા પાણીનો જથ્થો છે. ઉત્તર ગુજરાતના 15 ડેમમાં 49 ટકા પાણીનો જથ્થો છે. તો મધ્ય ગુજરાતના 17 ડેમમાં 81.45 ટકા પાણીનો જથ્થો છે. જ્યારે દક્ષિણ ગુજરાતના 13 ડેમમાં 73.93 ટકા પાણીનો જથ્થો છે અને રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં 69.66 ટકા પાણીનો જથ્થો સંગ્રહિત છે.