અમદાવાદઃ છેલ્લા 24 કલાકમાં રાજ્યના 128 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. રાજ્યના 12 તાલુકાઓમાં 2થી સાડા 3 ઈંચ સુધીનો વરસાદ વરસ્યો છે. રાત્રી દરમિયાન સુરતના ચોર્યાસી, કામરેજમાં 1-1 ઈંચ વરસાદ નોંધાયો હતો.


24 કલાકમાં નવસારીમાં સાડા 3 ઈંચ, જલાલપોરમાં 3 ઈંચ વરસાદ નોંધાયો. તો ચીખલીમાં 3, ઉમરગામમાં અઢી, ચોર્યાસીમાં 2 ઈંચ વરસાદ નોંધાયો. સુરત શહેર, ધરમપુર, વાપી, મહુવા
માળિયા અને ટંકારામાં 2-2 ઈંચ વરસાદ નોંધાયો. કામરેજ, ગણદેવીમાં 2-2 ઈંચ, પારડી, જૂનાગઢ શહેરમાં પણ પોણા 2 ઈંચ વરસાદ નોંધાયો. જ્યારે રાણપુર, ખેરગામ, ધ્રાંગધ્રામાં દોઢ-દોઢ ઈંચ વરસાદ નોંધાયો. રાજ્યના અન્ય કેટલાક તાલુકાઓમાં છૂટો છવાયો વરસાદ નોંધાયો છે..

ગુજરાતમાં આગામી ત્રણ દિવસમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ત્રણ દિવસમાં વરસાદ તૂટી પડશે.

હવામાન વિભાગના અનુસાર બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે ભારે વરસાદ પડી શકે છે. આગામી 3 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. જોકે ત્રણ દિવસ બાદ રાજ્યમાં વરસાદનું જોર ઘટશે.