ગાંધીનગરઃ રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસના એક જ ઉમેદવાર જીતે તેવી શક્યતા સર્જાતાં કોંગ્રેસે એક ઉમેદવાર પાસે ઉમેદવારી પાછી ખેંચાવવાની વિચારણા શરૂ કરી છે. રવિવારે મળેલી કોંગ્રેસના ધારાસભ્યોની બેઠકમાં આ અંગે ચર્ચા થઈ હતી. આ અંગેનો અંતિમ નિર્ણય કોંગ્રેસ હાઈકમાન્ડ પર છોડાયો છે.


જો કે ઉમેદવારી પાછી કોણ ખેંચે એ અંગે કોંગ્રેસના બંને ઉમેદવારો ભરતસિંહ સોલંકી અને શક્તિસિંહ ગોહિલ વચ્ચે સામસામે આવી ગયા છે. આ બંનેમાંથી કોઈ સ્વૈચ્છિક રીતે ઉમેદવારી પાછી ખેંચવા તૈયાર નથી એ જોતાં ‘કુરબાની દેગા કૌન’ એવી સ્થિતી સર્જાઈ છે.

કોંગ્રેસનાં સૂત્રોના મતે, ધારાસભ્યોને બચાવવા માટે કોઈ એક જ ઉમેદવાર મેદાનમાં રહે તેવો નિર્ણય લેવાય એ સંજોગોમાં 18 માર્ચે ઉમેદવારીપત્ર પાછું ખેંચવાના દિવસે કોણ પીછેહઠ કરે તે મુદ્દે અસમંજસની સ્થિતિ છે. હવે જોવાનું એ રહે છે કે કોંગ્રેસ હાઈકમાન્ડ કોને ઉમેદવાર બની રહેવાનું છે તે જાહેર કરશે.



ચર્ચા એવી છે કે ઉમેદવારોની પસંદગી વખતે શક્તિસિંહ ગોહિલ અને રાજીવ શુક્લાનું નામ જાહેર થતાં વેંત જ ભરતસિંહ સોલંકી હાઈકમાન્ડનું એમ કહીને નાક દાબ્યું હતું કે, મને ટિકિટ નહીં મળે તો તેઓ ભાજપ તરફી મતદાનની સ્થિતિ, એટલે કે ક્રોસવોટિંગ કરાવવા સુધીની હદે જશે. એ વખતે ખુદ ભાજપના ઉચ્ચ સૂત્રોએ પણ કહ્યું હતું કે કોંગ્રેસના કેટલાક મહત્વના નેતાઓ સાથે અમે સંપર્કમાં છીએ.

આવી કારણે હાઈકમાન્ડે બીજા ઉમેદવાર તરીકે ભરતસિંહ સોલંકીનું નામ જાહેર કર્યું હતું. હવે બેમાંથી એક ઉમેદવારને રાખવાનો આવે તો કોંગ્રેસ ભરતસિંહને બેસાડી દે તેવી શક્યતા છે.