Statue of Unity Ticket: સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં સરકારી અને ખાનગી શાળા કોલેજોના વિદ્યાર્થીઓના જૂથને, દિવ્યાંગ વ્યક્તિઓના જૂથને તેમજ સરકારી-અર્ધ સરકારી સંસ્થાઓના જૂથને હવેથી ટિકિટના દરમાં 50 ટકા રાહત અપાશે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિયમન સત્તામંડળે ગવર્નિંગ બોર્ડની મિટિંગમાં આ નિર્ણય લેવાયો છે. જો કે ટિકિટમાં 50 ટકા રાહત મેળવવા ઈચ્છતા જૂથોએ પોતાની શિક્ષણ સંસ્થાના ઓળખકાર્ડ સાથે રાખવાના રહેશે. તાલીમી સંસ્થાઓ હોય તો ફેકલ્ટી મેમ્બર જૂથ સાથે હોવા જોઈએ. તેમને પણ રાહત મળશે. જૂથમાં ઓછામાં ઓછા 15 વ્યક્તિઓ સામેલ હોવા જોઈએ અને જો 15 કરતા ઓછા સંખ્યા હશે તો તેમને રાહત આપવાનો નિર્ણય ઓથોરિટીના મુખ્ય કારોબારી અધિકારી કરશે.


સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કેસુડા ટુરની શરૂઆત



કેસુડા! ભાગ્યે જ કોઇ હશે જે આ નામથી અજાણ હશે. સંસ્કૃતમાં કિંશુક તરીકે ઓળખાતું આ વૃક્ષ ખાખરો અને પલાશ જેવા નામોથી પણ પ્રચલિત છે. કેશુડો એ સમગ્ર ભારતવર્ષના વનવગડાનું અતિ સામાન્ય પણ તેમ છતા અતિ વિશિષ્ટ અંગ છે. ગરમીની શરૂઆત અને વસંતઋતુના આગમન થતાની સાથે જ જ્યાં ચારે બાજુ પાનખર ઋતુની વચ્ચે જ્યાં સુકાયેલા વૃક્ષો વચ્ચે કેશુડાના વૃક્ષો પર પુષ્પો ખીલે છે. કેસરી કલરના ફૂલો આપણા મનને શાંતિ આપે છે. સાથે આ સમય દરમ્યાન વન વિસ્તારનું વાતાવરણ સોળે કળાએ ખીલી ઉઠે છે. તેથી જ તો કેશુડાના સોંદર્યનું મોહક વર્ણન સાહિત્યો અને કાવ્યોમાં ખુબ જ કરવામાં આવ્યુ છે.


કેશુડા ટુર માટે અલગ-અલગ ત્રણ રૂટ તૈયાર કરવામાં આવેલ છે. અને પ્રવાસીઓ કુદરતની વચ્ચે જઇને કેશુડાની સાથે સાથે વિંધ્યાચલ પર્વતમાળામાં રહેલ અમુલ્ય વન્ય વારસાને માણી શકશે.  પ્રવાસીઓને બસમાં શ્રેષ્ઠ ભારત ભવનથી વિંધ્યાચલમાં ફેલાયેલા ભવ્ય અને પ્રાચીન જંગલમાં લઈ જવામાં આવશે, જે પલાશનાં ગાઢ જંગલો ધરાવે છે. તેઓ પરાગરજની ચમત્કારિક દુનિયા અને કેસુડાના ફૂલો સાથેના તેમના જોડાણને જોતા-જોતા ખીણો અને કોતરો સાથે લગભગ ૩-૪ કિમી સુધી ટ્રેક કરશે.ટ્રેકીંગ પછી પ્રવાસીઓને ખલવાણી ઇકોટુરિઝમ સાઇટની મુલાકાત કરાવવામાં આવશે.


સમય સ્લોટ્સ અને ટિકિટિંગ વિગતો:


ટૂર પીકઅપ પોઈન્ટ: શ્રેષ્ઠ ભારત ભવન (SBB) અને


ટૂર સમાપ્ત પોઈન્ટ: શ્રેષ્ઠ ભારત ભવન (SBB)


પ્રવાસનો સમય -  સવારે ૦૭:૦૦ થી ૧૦:૦૦ અને સાંજે ૦૪:૦૦ થી ૦૭:૦૦ (મુલાકાતીઓ તેમની અનુકૂળતા મુજબ સ્લોટ બુક કરાવી શકે છે.)


ટિકિટ www.soutickets.in પરથી ઓનલાઇન બુક કરી શકાય છે.  


સાંસ્કૃતિક મહત્વ


આ વૃક્ષ અગ્નિનું પ્રતીક હોવાનું મનાય છે. દેવતાઓની પૂજામાં પણ તેનાં પુષ્પોનો ઉપયોગ થતો હોય છે. તેના પાંદડાંમાંથી પતરાળાં અને વાટકી બનાવવામાં આવે છે. રંગોનો તહેવાર “ધૂળેટી” માં તેના ફૂલોનાં રંગ વાપરવાની વર્ષો જુની પરંપરા છે. તેનાં ફૂલોને પાણીમાં નાખીને તેનાથી ધૂળેટી પણ રમવામાં આવે છે. તેનાં ફૂલના રંગ વડે “ગુલાલ” પણ બનાવવામાં આવે છે. ભારતમાં, આ વૃક્ષ વસંત ઋતુ સાથે સંકળાયેલું છે. દક્ષિણ ભારતમાં આ વૃક્ષને પવિત્ર માનવામાં આવે છે અને તેના લાકડાનો ઉપયોગ હિંદુ યજ્ઞવિધિઓમાં થાય છે.


ઔષધીય ગુણો


આ એક મહત્વનું ઔષધિય વૃક્ષ છે અને તેના જુદા જુદા ભાગોનો ઉપયોગ પરંપરાગત દવા પદ્ધતિ જેમ કે આયુર્વેદ, સિદ્ધ અને યુનાનીમાં વિવિધ રોગોની સારવાર માટે થાય છે.કેસૂડાના ફૂલથી બાળકને સ્નાન કરાવવામાં આવે છે. નવજાત બાળક માટે શ્રેષ્ઠ ઔષધ છે. કેસૂડાના પાનને પાણીમાં ઉકાળીને તે પાણીથી બાળકને સ્નાન કરાવવાથી ઓરી અછબડા લૂ અને ગરમીના રોગથી રક્ષણ મળે છે.