અમદાવાદ: ગુજરાતના અરવલ્લી જિલ્લાના મોડાસાના અમરાપુરની કોલેજિયન યુવતી સાથે દુષ્કર્મ બાદ હત્યાની ઘટનાથી સમગ્ર દેશમાં લોકો રોષ વ્યક્ત કરી રહ્યા છે. યુવતીની ઝાડ પર લટકતી લાશ મળી હતી. આ મામલે પોલીસે 4 શખ્સો સામે દુષ્કર્મ અને હત્યા સહિત એટ્રોસિટીનો ગુનો દાખલ કર્યો છે. ગુજરાતના આ દુષ્કર્મના કેસને લઈને બોલીવૂડ અભિનેતા રિતેશ દેશમુખે ટ્વિટ કરી રોષ વ્યક્ત કર્યો છે.


બોલિવુડ અભિનેતા રિતેશ દેશમુખે ટ્વિટ કરીને લખ્યું છે કે, '19 વર્ષીય યુવતીનું અપહરણ, ગેંગ રેપ, મર્ડર અને ઝાડ પર લટકાવી દીધી. તે કયા ધર્મની હતી તે ભૂલી જાવ. તેની જ્ઞાતિ પણ ભૂલી જાવ. માત્ર એટલું યાદ રાખો કે તે એક યુવાન છોકરી હતી તેની આખી જિંદગી માટે સપના અને આકાંક્ષાઓ હતી. ગુનેગારોને જાહેરમાં ફાંસી આપો.'


મોડાસાના અમરાપુરની કોલેજિયન યુવતી 31મીએ ડિસેમ્બરથી પાંચ દિવસથી ગુમ યુવતીની લાશ ઝાડ પર લટકતી હાલતમાં 5 જાન્યુઆરીએ લાશ મળી આવતાં યુવતીના પરિજનો અને સમાજના લોકોએ આરોપીઓ સામે દુષ્કર્મ અને હત્યાનો ગુનો નોંધ્યા પછી જ લાશ સ્વીકારવાની માંગ કરી હતી. પરંતુ પોલીસે માંગ ન સ્વીકારતાં અનુસૂચિત જાતિ સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો અને સોમવારે 6 જાન્યુઆરીએ સમાજે મોડાસામાં ચક્કાજામ અને પીએચસીની બહાર આખી રાત ધરણા કરી પોલીસ સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો.

7 જાન્યુઆરીએ પોલીસે સમાજનો આક્રોશ જોઇ ચાર શખ્સો વિરુદ્ધ, અપહરણ, દુષ્કર્મ, હત્યા અને એટ્રોસિટી એક્ટ મુજબ મોડાસા રૂરલ પોલીસ સ્ટેશને ગુનો નોંધી તપાસ એસટી એસસી સેલને સોંપી હતી. યુવતીના મૃતદેહને મંગળવારે રાત્રે અમદાવાદ પીએમ માટે ખસેડાયો હતો. બુધવારે 8 જાન્યુઆરી પીએમ કરાવ્યા બાદ યુવતીના માતા-પિતાની તબિયત લથડતાં મોડી રાત્રે 2 વાગ્યે મૃતદેહ સ્વીકારીને પરિવાર વતન ગયો હતો. 9 જાન્યુઆરીએ મોટી સંખ્યામાં લોકોની હાજરીમાં યુવતીની અંતિમવિધિ કરાઈ હતી.