ગુજરાતના મોટા યાત્રાધામ ગણાતા ગિરનાર પર જવા માગતાં શ્રદ્ધાળુઓ માટે તૈયાર કરવામાં આવી રહેલો રોપ-વે આગામી 17મી ઓક્ટોબરે ખૂલ્લો મૂકવામાં આવે તેવી સંભાવના છે. 2007ના વર્ષમાં આ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરનાર તે વખતના મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી આ રોપ-વેને ખૂલ્લો મૂકવા માટે ઉપસ્થિત રહે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. ઉલ્લેખનીય છે કે આ રોપ-વે પાછળ રૂપિયા 1.10 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.


ગીરનારમાં તૈયાર કરવામાં આવી રહેલા આ રોપ-વે સાથે અંદાજે 16 કેબિન કનેક્ટ કરવામાં આવશે. આ કેબિનમાં એક સાથે 16 લોકો ઉપર જઈ શકશે. રોપ-વ ચાલુ થયા બાદ યાત્રાળુ નવ જ મીનિટમાં ઉપર પહોંચી શકશે.

આ રોપ-વે સતત ફરતો જ રહેશે. તેમાં ઉપર પહોંચેલા યાત્રાળુને ઉતારતા ખાલી પડેલી કેબિનમાં પાછા ઉતરવા માગતા યાત્રાળુઓને બેસાડીને લઈ આવવામાં આવશે. યાત્રાળુઓને ઉપર દર્શન કરવા માટે એકાદ કલાક સુધી રહેવાનો સમય આપવામાં આવશે. ત્યારબાદ તેમને તે જ રોપવેમાં પાછા લઈ આવવામાં આવશે. આ રોપ-વેની ટિકીટ અંદાજે રૂપિયા 700 રાખવામાં આવે તેવી સંભાવના છે.