ગાંધીનગરઃ ગુજરાતની વિજય રૂપાણી સરકારે રાજ્ય સરકારના ફિક્સ પગારદાર કર્મચારીઓની દિવાળી સુધરી જાય એવો નિર્ણય લીધો છે. ગુજરાત સરકારે જાહેરાત કરી છે કે, રાજ્ય સરકારના ફિક્સ પગારદાર કર્મચારીઓની વણવાપરેલી રજાનો પૂરો પગાર કર્મચારી કાયમી થાય પછી રોકડમાં જમા કરવામાં આવશે.


આ ઉપરાંત પાંચ વર્ષ સુધી ફિક્સ પગારદાર તરીકે કામ કર્યા પછી વણવપરાયેલી પડી રહેલી રજાઓને 5 વર્ષ બાદ કેરી ફોરવર્ડ કરી શકાશે એટલે કે કાયમી થયા પછી પણ તે રજાઓ ગણતરીમાં લેવાશે. હિસાબ અને તિજોરી નિયામક કચેરીએ બહાર પાડેલા આ પરિપત્રે રાજ્ય સરકારના ફિક્સ પગારદાર કર્મચારીઓની દિવાળી સુધારી દીધી છે.

રાજય સરકારમાં પાંચ વર્ષ ફિક્સ પગાર હેઠળ નોકરી કરતા કર્મચારીઓ માટે લેવાયેલા નિર્ણય અનુસાર ફિક્સ પગારમાં મળતી મેડિકલ રજાઓ વપરાયેલ ન હોય તે રજાઓ પૂરો પગાર મળતો થયા પછી જમા થશે. સાથે જ ફિક્સ પગારનાં પાંચ વર્ષ બાદ આ રજાઓ આગળ લઇ જઈ શકાશે.