અમદાવાદઃ રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં વિદ્યાર્થીઓની હાલત કફોડી બની છે. યુક્રેનના સુમિમાં રહેતા ગુજરાતી વિદ્યાર્થી રવિરાજ પટેલે પોતાની આપવીતી જણાવી છે. કહ્યું કે, દિન પ્રતિદિન પરિસ્થિતિ ખરાબ થતી જાય છે. રશિયન આર્મી ગમે ત્યારે આવીને ફાયરીંગ કરે છે. ગમે ત્યારે એર સ્ટ્રાઈક થાય છે. રાત્રે એર સ્ટ્રાઈક થવાની હોય ત્યારે બે મીનીટ પહેલા જ  અમને બંકર્સમાં જવાના મેસેજ આવે છે.



રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે બુધવારે પણ ભારત માટે એક ખૂબ જ ખરાબ સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ, વિદ્યાર્થી પંજાબનો રહેવાસી હતો. યુદ્ધના સાતમા દિવસે સવારથી જ રશિયન સૈનિક રાજધાની કિવ પર હુમલો કરી રહ્યા છે. કિવમાં સરકારી ઈમારતો પર હુમલા થઈ રહ્યા છે.


નોંધનીય છે કે બુધવારે યુક્રેનમાં મૃત્યુ પામનાર ભારતીય વિદ્યાર્થી પંજાબનો રહેવાસી હતો. તે જ દિવસે એટલે કે મંગળવારે ખાર્કિવમાં એક ભારતીય વિદ્યાર્થીનું એરસ્ટ્રાઈકમાં મોત થયું છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ આ માહિતી આપી હતી. મંગળવારે રશિયન હુમલામાં માર્યા ગયેલા ભારતીય વિદ્યાર્થીનું નામ નવીન હતું. તે કર્ણાટકનો રહેવાસી હતો.






યુક્રેન-રશિયા સંકટ વચ્ચે રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ મોટો દાવો કર્યો છે. તેણે કહ્યું છે કે યુદ્ધના છેલ્લા છ દિવસમાં યુક્રેનની સેનાએ 6,000 રશિયન સૈનિકોને મારી નાખ્યા છે.








ભારતમાં રશિયાના રાજદૂત ડેનિસ અલીપોવે કહ્યું છે કે અમે ખાર્કિવ અને પૂર્વ યુક્રેનના અન્ય વિસ્તારોમાં ફસાયેલા ભારતીયો માટે ભારતીય અધિકારીઓના સંપર્કમાં છીએ. અમને ભારત તરફથી રશિયાના વિસ્તારમાં ફસાયેલા તમામ લોકોને ઈમરજન્સી બહાર કાઢવાની વિનંતીઓ મળી છે.


રાજદૂતે તેમના સંબોધનની શરૂઆત ભારતીય વિદ્યાર્થી નવીનને શ્રદ્ધાંજલિ આપીને કરી હતી. તેમણે ભારતીય વિદ્યાર્થીઓની સુરક્ષાની ખાતરી આપી અને કહ્યું કે વિદ્યાર્થીના મૃત્યુની તપાસ કરવામાં આવશે. ખાર્કિવ બોમ્બ ધડાકામાં વિદ્યાર્થીનું મોત થયું હતું.