થરાદઃ કાંકરેજ તાલુકાના ટોટાણા ધામના સંત સદારામ બાપુ છેલ્લા કેટલાંક દિવસોથી બિમાર હોવાથી પાટણની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે મંગળવારે તેમની તબિયત વધુ નાજુક થતાં તેમને ટોટાણા આશ્રમ ખાતે રાત્રે લઈ જવાયા હતાં જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.

કાંકરેજના ટોટાણા ખાતે છેલ્લા કેટલાંય વર્ષોથી સંસારનો ત્યાગ કરી પ્રભુના ભજન-કિર્તન થકી સમાજમાં વ્યાપેલા ખોટા વ્યસનના દુષણો દુર કરી સમાજ સુધારણાનું કામ કરતા હતા અને 111 વર્ષની શતાયુ જીવન વટાવી ચુકેલા પરમ પૂજય સંતશ્રી સદારામબાપાની તબિયત બગડતાં પાટણની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા.

જોકે તેમની તબિયત વધુ બગડતાં તેમને પુનઃ ટોટાણા આશ્રમ ખાતે સોમવારની રાત્રે લાવવામાં આવ્યા હતાં. બાપુએ મંગળવારે સાંજના 6:44 વાગે પાર્થિવદેહ છોડ્યો હતો. બાપુના દેવલોક પામ્યાના સમાચારથી સમગ્ર કાંકરેજ પંથક સહીત ગુજરાત ભરના ભક્તજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

સિદ્ધપુર ધારાસભ્ય ચંદનજી ઠાકોર, થરા એ.પી.એમ.સી ચેરમેન અણદાભાઇ પટેલ, પાલિકા ઉપપ્રમુખ વસંતજી ધાંધોસ, દાસબાપુ ટોટાણા, વાવ ધારાસભ્ય ગેનીબેન ઠાકોર, મંત્રી દિલીપજી ઠાકોર, પૂર્વ મંત્રી શંકરભાઇ ચૌધરી, ભાજપ મહામંત્રી કે.સી.પટેલ સહીતના શ્રદ્ધાળુઓએ બાપુના અંતિમ દર્શન કર્યાં હતા.

બાપુના અનુયાયીઓએ અને ભક્તોએ બાપુની અંતિમ ઈચ્છા અનુસાર પાલખીયાત્રાની તૈયારીઓ કરી હતી અને બુધવારે તેમના પાર્થિવદેહને દર્શન માટે મુકવામાં આવશે અને આશ્રમ ખાતે અંતિમસંસ્કાર કરવામાં આવશે.