સરદાર સરોવર નર્મદા ડેમ 138.68 મીટરની સર્વોચ્ચ સપાટીએ
abpasmita.in | 15 Sep 2019 07:49 PM (IST)
રાજ્યની જીવાદોરી નર્મદા ડેમ ઈતિહાસમાં પ્રથમ વખત સંપૂર્ણપણે ભરાયો છે. નર્મદા ડેમની જળસપાટી 138.68 મીટર પાર કરી છે. નર્મદા ડેમ સંપૂર્ણ ભરાતા આગામી બે વર્ષ સુધી રાજ્યમાં પાણીની સમસ્યાનો ઉકેલ આવ્યો છે.
નર્મદા: રાજ્યની જીવાદોરી નર્મદા ડેમ ઈતિહાસમાં પ્રથમ વખત સંપૂર્ણપણે ભરાયો છે. નર્મદા ડેમની જળસપાટી 138.68 મીટર પાર કરી છે. નર્મદા ડેમ સંપૂર્ણ ભરાતા આગામી બે વર્ષ સુધી રાજ્યમાં પાણીની સમસ્યાનો ઉકેલ આવ્યો છે. આ સાથે છેલ્લા એક મહિનાથી સતત ડેમમાં પાણી છોડવાના કારણે છેક કચ્છના ટપ્પર ડેમ સુધી નર્મદા ડેમના પાણી પહોંચ્યા છે. સરદાર સરોવર નર્મદા ડેમમાં 694277 ક્યૂસેક પાણીની આવક થઈ છે, જ્યારે 649849 ક્યુસેક પાણીની જાવક થઈ છે. છેલ્લા 5 દિવસ ઉપરાંતથી ડેમના 23 દરવાજાઓ ખોલી નર્મદા ડેમમાંથી નદીમાં પાણી છોડવામાં આવી રહયું છે પણ ઉપરવાસમાંથી પાણીની આવક સતત ચાલુ રહેતાં રવિવારે મોડી સાંજે નર્મદા ડેમ તેની 138.68 મીટરની સર્વોચ્ચ સપાટીને સ્પર્શી ગયો હતો. રાજયના 15 જિલ્લાના 73 તાલુકાના 3137 ગામોની 18.45 લાખ હેકટર જમીનને સિંચાઇનુ પાણી મળશે. ભરૂચ કલેક્ટર દ્વારા નર્મદા નિગમને રજુઆત કરવામાં આવી છે. ભરૂચમાં 5 દિવસથી પૂરની પરિસ્થિતિના પગલે સરદાર સરોવર નર્મદા ડેમમાંથી ઓછું પાણી છોડવા રજૂઆત કરવામાં આવી છે.