ગાંધીનગરઃ ગુજરાત સરકારે દેશભરમાં જાહેર કરાયેલા અનલોક-1 હેઠળ ધર્મસ્થાનો, શોપિંગ મોલ, રેસ્ટોરન્ટ્સ વેગેર ખોલવાની મંજૂરી આપી છે પણ સ્કૂલો સહિતની શૈક્ષણિક સંસ્થાઓ નહીં ખૂલે એવી જાહેરાત કરી હતી. ગુજરાત સરકારે પણ આ જાહેરાત કરી હતી. હવે ગુજરાત સરકારે ફરી સ્પષ્ટતા કરી છે કે, 15 ઓગસ્ટ સુધી તો સ્કૂલો નહીં જ ખૂલે અને તે પછી પણ યોગ્ય સમીક્ષા કરી નિર્ણય લેવાશે. રાજ્યના લાખો વિદ્યાર્થીઓના વાલીઓ માટે આ મોટા રાહતના સમાચાર છે. પોતાના સંતાનોના સ્વાસ્થ્યની ચિંતા કરતા વાલીઓને આ નિર્ણયથી ભારે રાહત થશે.


રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ જાહેરાત કરતાં કહ્યું કે, વાલીઓ, શિક્ષણવિદ્દો સાથે ચર્ચા કર્યા બાદ આરોગ્ય વિભાગની સલાહ મુજબ સ્કૂલો ખોલવા અંગે અંતિમ નિર્ણય થશે. સમાજનો સૂર હશે તેમજ થશે એવી સ્પષ્ટતા પણ ભુપેન્દ્રસિંહ ચૂડાસમાએ કરી છે.

ચુડાસમાએ કહ્યું છે કે, આરોગ્ય અધિકારીઓની મદદથી રાજ્ય સરકાર 15 ઓગસ્ટ પછી સ્થિતિની સમીક્ષા કરશે અને ત્યાર બાદ લોકડાઉનના કારણે બંધ કરાયેલી સ્કૂલો ફરી શરૂ કરવાનો નિર્ણય લેશે પણ 15 ઓગસ્ટ સુધી તો સ્કૂલો ખોલવાનો સવાલ જ પેદા થતો નથી.

દરમિયાનમાં રાજ્ય સરકારનાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે, રાજ્ય સરકારે સ્કૂલો, શિક્ષકો અને શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા નિષ્ણાતોને સ્થિતિની સમીક્ષા કરીને પોતાના અભિપ્રાય રજૂ કરવાનું સૂચન આપી દીધું છે. ગુજરાતના શિક્ષણ વિભાગના અધિકારીઓ આ રીતે મળેલાં સૂચનોનો અભ્યાસ કરશે અને તેની ચર્ચા વાલીઓ સાથે કર્યાં પછી જ સ્કૂલો ફરી ખોલવા અંગે નિર્ણય લેવાશે.