વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આ સુવિધાનું ઉદ્ઘાટન કરવામાં આવી શકે છે.
અમદાવાદઃ અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટથી કેવડિયા સ્ટેચ્યૂ ઓફ યુનિટી સુધી સી-પ્લેનની હવાઇ સેવા 31મી ઓક્ટબરથી શરૂ થવા જઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આ સુવિધાનું ઉદ્ઘાટન કરવામાં આવી શકે છે. સી પ્લેનની સ્પીડન 170 પ્રતિ કલાકની હશે જેમાં 19 મુસાફરો સવારી કરી શકશે અને દિવસમાં આવી ચાર ફ્લાઇટ અવરજવર કરશે. એક ટિકિટનો ખર્ચ 4,800 રૂપિયા હશે. સી પ્લેન બનાવવાની કામગીરી સ્પાઇસ જેટને સોંપવામાં આવી છે. સી પ્લેનનો સંપૂર્ણ ખર્ચ સરકાર ભોગવશે. 31 ઓક્ટોબર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્ટેચ્યૂ ઓફ યુનિટીના કાર્યક્રમ માટે ગુજરાત આવી શકે છે. નરેન્દ્ર મોદી 31મી ઓક્ટોબરે અમદાવાદના રિવરફ્રન્ટથી કેવડિયા કોલોની સુધી સી-પ્લેનમાં પ્રવાસ કરે તે માટેની પણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. થોડા દિવસો પહેલા કેન્દ્રીય શીપિંગ મંત્રી મનસુખ માંડવિયાએ દિલ્હીમાં યોજાયેલી બેઠકમાં દેશના સી પ્લેન પ્રોજેક્ટની સમીક્ષા કરી હતી. સી પ્લેન પ્રોજેક્ટ હેઠળ 16 રૂટ નક્કી કરવામાં આવ્યા હતા જેમાં અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટથી કેવડિયા સ્ટેચ્યૂ ઓફ યુનિટીના રૂટનો પણ સમાવેશ થાય છે. માંડવિયાએ જણાવ્યું કે આ રૂટથી સમયનો બચાવ થશે અને પર્યટનને વેગ મળશે.