Lok Sabha Elections 2024: આજે ગુજરાત સહિત અનેક રાજ્યોમાં ત્રીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. એવામાં ભારે ગરમી વચ્ચે પણ મતદારો લાઈન લગાવી પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. તો બીજી તરફ મતદાનમાં દિવ્યાંગજનોની સુગમતા માટે સુરેન્દ્રનગર જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા  સંનિષ્ઠ પ્રયાસ કરવામા આવ્યો છે.




જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા દિવ્યાંગજનોની સુવિધા માટે વિશેષ કાળજી 


કંટ્રોલરૂમ ખાતેથી સાઇન લેન્ગવેજના જાણકાર મહંમદ નઈમ પટેલ વિડીયો કોલ દ્વારા માર્ગદર્શન  આપી રહ્યા છે.  ૦૯-સુરેન્દ્રનગર સંસદીય મતવિસ્તારનો એક પણ લાયક મતદાર મત આપવાથી વંચિત ન રહે તે માટેની દરકાર કરવામાં આવી છે. તેને ધ્યાનમાં રાખીને દિવ્યાંગ સહિત તમામ વર્ગના મતદારોની સુવિધા પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. 


આ કંટ્રોલ રૂમમાં સાઇન લેંગ્વેજ (સાંકેતિક ભાષા)ના જાણકાર તજજ્ઞ મહંમદ નઈમ પટેલની નિમણૂક કરવામાં આવી છે. દિવ્યાંગ લોકોને મતદાન પ્રક્રિયામાં કોઈપણ જાતની તકલીફ ન પડે તે માટે જિલ્લા કલેકટર કચેરી ખાતે કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવ્યો છે. દિવ્યાંગ (મુક-બધીર) મતદારોની ચૂંટણીલક્ષી મદદની જરૂર હોય તો વિડીયોકોલ દ્વારા કંટ્રોલ રૂમ ખાતેથી માર્ગદર્શન આપવામાં આવે છે. પોતાના શિક્ષણ અંગેની વાત કરતા વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, તેઓ સ્પેશિયલ એજ્યુકેશન ઈન હિયરિંગ ઇમ્પેર્ડનો અભ્યાસ કર્યો છે. 


૧૭ વર્ષથી ડી.એસ.પારેખ બહેરામૂંગા શાળા, નવા જંકશન પાસે, સુરેન્દ્રનગર ખાતે મદદનીશ શિક્ષક તરીકે ફરજ બજાવી રહ્યા છે. અત્યાર સુધીમાં તેમણે ૧૦૦થી વધારે મુક-બધીર બાળકોને તાલીમ આપી ચૂક્યા છે. દિવ્યાંગ વ્યક્તિઓને મતદાન કરવામાં કોઈપણ જાતની તકલીફ ન પડે તે માટે બ્રેઇલ લિપિમાં વોટર ગાઈડ, વોટર સ્લીપ અને બેલેટ પેપરની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.


લોકસભાનું આજે ત્રીજા તબક્કાનું મતદાન થઇ રહ્યું છે. ગુજરાતની 25 બેઠકો પર પણ વોટિંગ થઈ રહ્યું છે. આ દરમિયાન પંચમહાલના ગોધરામાં લગ્ન મંડપ છોડી વરરાજા મતદાન મથક પહોંચ્યા હતા. પીઠીની રસમ સાથે મતાધિકારની ફરજ નિભાવી હતી. લગ્ન વિધી અધૂરી મુકી કાળઝાળ ગરમી વચ્ચે ઓટો રિક્ષામાં સવાર થઇ વરરાજા મતદાન મથકે પહોંચ્યા અને મતદાન કર્યું હતું. ગોધરાના સ્મશાન રોડ વિસ્તારના ધવલ સોલંકી નામના યુવા વર રાજા પોતાના પરિવાર અને મિત્રો સાથે મતદાન મથક પહોંચ્યા હતા અને મતદાન કર્યું હતું.