ગાંધીનગરઃ કમોસમી વરસાદનો ભોગ બનેલા ગુજરાતના ખેડૂતો માટે રૂપાણી સરકારે મહત્વની જાહેરાત કરી છે. વરસાદથી જે ખેડૂતોને નુકસાન પહોંચ્યું છે તેઓની સહાયમાં વધારો કરવામાં આવ્યો છે. નીતિન પટેલે પ્રેસ કોન્ફરન્સમાં જાહેરાત કરી હતી કે, જે ખેડૂતોને નુકસાન થયું છે અને ના હોય એ ખેડૂતોને પણ સહાયમાં આવરી લેવામાં આવ્યા છે.

ગુજરાતના 56.36 લાખ ખેડૂતો માટે ગુજરાત સરકાર દ્વારા 3,795 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે. 81 તાલુકાના 5,814 ગામોના 17,10,000 ખેડૂતોને ખાતાદીઠ 4,000 રૂપિયાની સહાય આપવામાં આવશે. જ્યાં એક ઈંચથી વધારે વરસાદ પડ્યો છે તેવા 125 તાલુકાના 9,416 ગામમાં ખેડૂતોને હેક્ટર દીઠ 6,800 રૂપિયાની ચુકવણી કરવામાં આવશે. આ સિવાય જ્યાં વરસાદ નથી પડ્યો ત્યાં પણ ખાતાદીઠ 4 હજાર રૂપિયાની ચૂકવણી કરવામાં આવશે. ગુજરાત સરકાર ખેડૂતોને RTGS મારફતે રૂપિયા ખાતામાં જમા કરાવશે.

નીતિન પટેલે કહ્યું હતું કે, ગુજરાતમાં લાંબા સમય સુધી વરસાદ વરસ્યો છે. વાવણીનો સમય હતો છતાં કમોસમી વરસાદ વરસી રહ્યો હતો. દિવાળી બાદ પાક લેવાની સીઝનમાં ખેડૂતોનો પાક ખેતરમાં પડ્યો હતો. ખેડૂતોની મદદ માટે પ્રથમ તબક્કામાં રાજ્ય સરકારે 700 કરોડ રૂપિયાનું રાહત પેકેજ મંજૂર કર્યું હતું. ત્યાર બાદ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

આ સર્વેમાં જાણવા મળ્યું છે કે, એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો હોય એવા 23 જિલ્લાના 42 તાલુકાની ઓળખ થઈ છે. તે સિવાય આ તાલુકામાં 1,463 ગામના 4,70,000 ખેડૂતોને SDRFના ધોરણ અનુસાર સહાય આપવામાં આવશે. આ તાલુકાના ખેડૂતોને 4000ની સહાય આપવામાં આવશે.

ગુજરાતમાં 251 તાલુકા પૈકી અમદાવાદ, સુરત અને જુનાગઢના શહેરી વિસ્તારને બાકાત રાખવામાં આવ્યા છે. બાકીના 248 તાલુકાના 18,369 ગામના અંદાજે 56,36,000, ખાતેદારોને સહાય આપવામાં આવી છે. સહાયના પેકેજમાં ભારત સરકાર દ્વારા SDRF દ્વારા 2,154 કરોડ રૂપિયા અને રાજ્ય સરકારના 1641 કરોડ રૂપિયાનો હિસ્સો રહેશે.