અમદાવાદઃ રાજયમાં LRDની ભરતીમાં અનામત વર્ગને અન્યાયના મુદ્દે ગાંધીનગર સત્યાગ્રહ છાવણીમાં છેલ્લા 64 દિવસથી ચાલતા મહિલાઓના આંદોલનમાં OBC સમાજની યુવતીઓ સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણીની મુલાકાત બાદ સરકારે તેમની માંગ સ્વીકારી લીધી છે અને 1-8-2018ના પરિપત્રમાં સુધારો કરવાની બાહેંધરી આપી છે.


ગુજરાત સરકાર દ્વારા ઓગષ્ટ 2018માં પોલીસ વિભાગની LRD સંવર્ગની કુલ 9,713 જગ્યાની જાહેરાત બહાર પાડવામાં આવી હતી. જેમાં મહિલાઓ માટે 3077 જેટલી જગ્યાઓ હતી, જેની પરીક્ષા 6 જાન્યુઆરી 2019ના રોજ લીધી હતી. આ પરીક્ષાનું મેરિટ 31 ઓક્ટોબરે રિલીઝ કરવામાં આવ્યું હતું. જેમાં અનામત વર્ગમાં આવતી ઉચ્ચ મેરિટવાળી મહિલા ઉમેદવારોની જનરલ મેરિટમાંથી બાદબાકી કરાઈ હતી. જેની સામે વિરોધ નોંધાવતા રાજ્યભરમાંથી મહિલા ઉમેદવારો ગાંધીનગરમાં ધરણાં પર બેઠી હતી.

1 ઓગસ્ટ 2018ના રોજ કરવા GAD દ્વારા કરવામાં આવેલા આ પરિપત્રના મુદ્દા નં. 12 અને 13ની જોગવાઈઓ અંગે વિવાદ ઉભો થયો હતો. આ પરિપત્ર મુજબ, મેરિટના આધારે અનામતવાળી મહિલા પસંદગી પામે તો તેને અનામતના ક્વોટામાં જ ગણવાનો ઉલ્લેખ છે. જેની સામે આ મહિલાઓ આંદોલન પર ઉતરી છે.

આ અંગે ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, રાજ્ય સરકાર અનામતની નીતિને સંપૂર્ણ રીતે વરેલી છે. રાજ્ય સરકારની વિવિધ ભરતી પ્રક્રિયાઓ સંદર્ભે સામાન્ય વહીવટ વિભાગ દ્વારા 1 ઓગસ્ટ 2018 પરીપત્ર કરાયો છે તેમાં પણ યુવાઓ-મહિલાઓને કોઇપણ જાતનો અન્યાય ન થાય તે માટે જરૂરી સુધારાઓ કરવાનો પણ રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે.

અગાઉ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ મામલે કહ્યું હતું કે ખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે એલઆરડી ભરતી પ્રક્રિયામાં કોઈપણ બહેનને અન્યાય ના થાય અને કાયદાકીય રીતે આ સમસ્યાનો ઉકેલ આવે તે દિશામાં રાજ્ય સરકાર પૂરી સંવેદનાથી આગળ વધી રહી છે. તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસે આ મામલામાં રાજકીય લાભ લેવા માટે દર વખતની જેમ છલાંગ મારી છે પરંતુ ગુજરાતના લોકો હવે કોંગ્રેસની આ મુરાદ બર આવવા દેશે નહીં.