ગાંધીનગર: રાજયના અંત્યોદય અને બી.પી.એલ પરિવારો જન્માષ્ટમીના તહેવારો સારી રીતે ઉજવી શકે એ માટે આ પરિવારોને રાહતદરે વધારાની ખાંડ અને ખાદ્યતેલ વિતરણ કરવાનો મહત્વનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે.  અન્ન,નાગરિક પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ આ અંગે જરુરી માહિતી આપી હતી. 


નાગરિક પુરવઠા મંત્રી  કુંવરજીભાઇએ વિગતો આપતાં કહ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા ખાસ કરીને જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે N.F.S.A.-૨૦૧૩ હેઠળ સમાવિષ્ટ કુટુંબોને ગુણવત્તાયુક્ત ખાદ્ય તેલ -  સિંગતેલ બજાર ભાવથી ઘણી ઓછી કિંમતે કાર્ડદીઠ ૧ લિટર પાઉચ રૂ. ૧૦૦ પ્રતિ લિટરના રાહત દરે તથા બીપીએલ અને અંત્યોદય કુટુંબોને મળવાપાત્ર જથ્થા ઉપરાંત વધારાની ૧ કિ.ગ્રા.ખાંડ એટલે કે બી.પી.એલ કુટુંબોને કાર્ડદીઠ ૧ કિ.ગ્રા. રૂ. ૨૨ પ્રતિ કિ.ગ્રા.ના રાહત દરે તથા અંત્યોદય કુટુંબોને કાર્ડદીઠ ૧ કિ.ગ્રા. રૂ.૧૫ ના રાહત દરે વિતરણ કરવામાં આવી રહ્યું છે.


મંત્રી કુંવરજીભાઈએ  કહ્યું હતું કે, અન્ન,નાગરિક પુરવઠા વિભાગ દ્વારા “રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા- ૨૦૧૩" (N.F.S.A.) હેઠળ સમાવિષ્ટ ૭૪ લાખથી વધુ રેશનકાર્ડધારક કુટુંબોની ૩.૬૦ કરોડ જનસંખ્યાને “પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના” અંતર્ગત ઓગસ્ટ-૨૦૨૪ માસમાં ઘઉં, ચોખા અને "શ્રી અન્ન”  -બાજરી અને જુવારનું વિનામૂલ્યે વિતરણ રાજ્યની ૧૭,૦૦૦ થી વધુ વાજબી ભાવની દુકાનો ખાતે થઇ રહ્યું છે. 


અન્ન,નાગરિક પુરવઠા રાજ્ય મંત્રી ભિખુસિંહજી પરમારે વધુ વિગતો આપતાં જણાવ્યું હતું કે, રાજ્યના ૮ લાખ જેટલા અંત્યોદય અન્ન યોજનાના (A.A.Y.) કુટુંબોને પ્રતિ કાર્ડ ૧૫ કિલો ઘઉં, ૧૫ કિલો ચોખા અને ૫ કિલો બાજરી મળી કુલ ૩૫ કિલો અનાજનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે.


એ જ રીતે રાજ્યના ૬૬ લાખ જેટલા “અગ્રતા ધરાવતા કુટુંબો”ની (Priority House Hold - P.H.H.) ૩.૨૩ કરોડ જનસંખ્યાને પ્રતિ વ્યક્તિ ૨ કિલો ઘઉં, ૨ કિલો ચોખા અને ૧ કિલો બાજરી મળી પ્રતિ વ્યક્તિ કુલ ૫ કિલો અનાજનું વિતરણ કરવામાં આવે છે. આમ, P.H.H. કુટુંબમાં પાંચ વ્યક્તિઓ હોય તો ૧૦ કિલો ઘઉં, ૧૦ કિલો ચોખા અને ૫ કિલો બાજરી મળી કુલ ૨૫ કિલો અનાજનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે.


રાજ્ય સરકારની યોજના હેઠળ અને N.F.S.A.-૨૦૧૩ હેઠળના અંત્યોદય તથા અગ્રતા ધરાવતા દરેક કુટુંબોને પ્રોટીનસભર આહાર મળી રહે તે માટે કાર્ડદીઠ ૧ કિ.ગ્રા ચણા. રૂ. ૩૦ પ્રતિ કિ.ગ્રા.ના રાહત દરે તથા તુવેરદાળ કાર્ડદીઠ ૧ કિ.ગ્રા. રૂ. ૫૦ પ્રતિ કિ.ગ્રા.ના રાહત દરે વિતરણ કરવામાં આવી રહ્યું છે.


તેમજ રાજ્ય સરકારની યોજના હેઠળ N.F.S.A.-૨૦૧૩ હેઠળના અંત્યોદય તથા અગ્રતા ધરાવતા દરેક કુટુંબોને મીઠું કાર્ડદીઠ ૧ કિ.ગ્રા. રૂ. ૧ પ્રતિ કિ.ગ્રા.ના રાહત દરે વિતરણ કરવામાં આવી રહ્યું છે.


આમ, રાજ્ય સરકાર N.F.S.A ૨૦૧૩ હેઠળ સમાવિષ્ટ અંત્યોદય તથા અગ્રતા ધરાવતા દરેક કુટુંબોને અન્ન સલામતી પૂરી પાડવા સાથે પોષણ સલામતી પણ મળી રહે તે માટે રાજ્ય સરકાર આ યોજનાઓ દ્વારા ગુજરાતના નાગરિકોના સર્વાંગી વિકાસ તરફ આગેકૂચ નિશ્ચિત કરી રહી છે,તેમ મંત્રીએ ઉમેર્યું હતું.