અમદાવાદ: શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામી મહારાજની અધ્યક્ષતામાં ઉજવાતા શ્રી સ્વામિનારાયણ ગાદી સુવર્ણ મહોત્સવે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતીમાં કચ્છી લેઉઆ પટેલ સમાજની અધ્યતન મલ્ટીસ્પેશ્યિયાલીટી કે કે હોસ્પિટલ માટે રૂ. 3 કરોડનો ચેક દાન પેટે અપર્ણ કરવામાં આવ્યો હતો.


આ પ્રસંગે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, સાચા સત્સંગના લીધે સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામિનારાયણ ગાદી સંસ્થાન મણિનગર હંમેશા રચનાત્મક કાર્યો કરી રહી છે. સ્વધર્મ, સ્વસંસ્કૃત, સ્વરાષ્ટ્રની અસ્મિતા એ આપણી વિરાસત જાળવી રાખી છે. સ્વામિનારાયણ સંસ્થાનનો કલા સંસ્કૃતિ, શિક્ષણ, સમાજ નિર્માણ માટે મોટો ફાળો રહ્યો છે. ધર્મસત્તા અને રાજસત્તાનું મિલન એ સમાજ માટે લાભદાઈ છે.


આ પ્રસંગે સ્વામિનારાયણ સંસ્થાન મણિનગરના પરમ પૂજ્ય આચાર્ય જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજે પ્રાસંગીક આર્શિવચનમાં જણાવ્યું હતું કે ગુરુદેવ મુક્તજીવન સ્વામિબાપાએ જે પરંપરા સ્થાપી જે ‘સમાજનું સમાજને સમર્પીત’ એ ન્યાયે હરિભક્તો તરફથી મળેલ દાન સ્વામિનારાયણ ગાદી સંગ્રહ કરવામાં માનતી નથી. સ્વામિનારાયણ ભગવાને જે બોધપાઠ આપ્યો છે જે સર્વજીવ હિતાવહ એ સ્વામિનારાયણ ગાદી સંસ્થાન મણિનગરની આગવી ઓળખ છે.


આ પ્રસંગે પરમ પૂજ્ય આચાર્ય જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજે રાજ્યના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આર્શિવાદ આપતા જણાવ્યું હતું કે આજે સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના સૂવર્ણ મહોત્સવે આપ સહભાગી બની ઘનશ્યામ પ્રભૂના દિવ્ય દર્શન કરી આપને દિવ્ય આર્શિવાદ પ્રાપ્ત થયા છે. આપ જે પદ ઉપર છો ત્યાંથી સમાજની સારી સેવા કરો અને ગુજરાત રાજ્યનો સર્વાંગી વિકાસ કરો.


આ પ્રસંગે મુક્તજીવન સ્વામિબાપા સ્કોટીસ પાઈપ બેન્ડ યુકે દ્વારા ક્વીન એલીઝાબેથ 2ને શ્રદ્ધાંજલી અપર્ણ કરવામાં આવી હતી.


આ પ્રસંગે  સાંસદ ડૉ કિરીટભાઈ સોલંકી, મણિનગરના ધારાસભ્ય સુરેશભાઈ પટેલ અને અમરાઈવાડીના ધારાસભ્ય જગદીશભાઈ પટેલ, ભારતીય જનતા પાર્ટીના સહકોષાધ્યક્ષ ધર્મેન્દ્રભાઈ શાહ અને પૂર્વ મેયર અસિત વોરા સહિત મોટી સંખ્યામાં સંતો અને સતસંગી હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા.