Tapi News: દેશમાં ફરી એકવાર ફ્લૂનો ત્રાસ વધી રહ્યો છે, હાલમાં જ સમાચાર મળી રહ્યાં છે કે, મહારાષ્ટ્ર અને ગુજરાત બોર્ડર નજીક આવેલા ગામમાં નવા જ પ્રકારના આફ્રિકન સ્વાઇન ફ્લૂએ દેખા દીધી છે. આ આફ્રિકન સ્વાઇન ફ્લૂના ફેલાવવાથી લગભગ 100 જેટલા ડૂક્કરો મોતને ભેટ્યા છે. હાલમાં સમગ્ર એરિયાને પ્રતિબંધિત વિસ્તાર જાહેર કર્યો છે અને ટેસ્ટિંગ શરૂ કરાયુ છે. 


મળતી માહિતી પ્રમાણે, ગુજરાતમાં ગમે ત્યારે આફ્રિકન સ્વાઇન ફ્લૂની એન્ટ્રી થવાનું નક્કી મનાઇ રહ્યું છે. કેમ કે હાલમા જ સમાચાર છે કે, ગુજરાત અને મહારાષ્ટ્ર બૉર્ડર નજીકના, અને ગુજરાતના તાપી જિલ્લાના નજીક આવેલા મસાવદ ગામમાં આફ્રિકન સ્વાઇન ફ્લૂએ પગપેસારો કર્યો છે. ગુજરાતને અડીને આવેલા મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લામાં આફ્રિકન સ્વાઇન ફ્લૂનો પગપેસારો થયો છે. નંદુરબાર જિલ્લાના શાહદાના મસાવદ ગામમાં 100 જેટલા ડૂક્કર ના મોત થતાં સમગ્ર એરિયામાં ખળભળાટ મચી ગયો છે, લોકોમાં ગભરાટ ફેલાયો છે. મહારાષ્ટ્રના મસાવદમાં ભૂંડના મોત બાદ તાત્કાલિક ધોરણે ટેસ્ટિંગની કાર્યવાહી હાથ ધરાઇ છે અને પરીક્ષણના નમૂના ભોપાલની લેબમાં મોકલવામાં આવ્યા છે. તંત્ર પણ આફ્રિકન સ્વાઇન ફ્લૂના અચાનક ફેલાવાને લઇને એલર્ટ મૉડમાં આવ્યુ છે, અને આજુબાજુના 10 કિલોમીટર સુધીના વિસ્તારને પ્રતિબંધિત જાહેર કરી દેવાયો છે.


મહેસાણાના વિસનગરમાં સ્વાઇન ફ્લૂથી એકનું મોત, જાણો કેવા હોય છે લક્ષણો


મહેસાણાના વિસનગરમાં સ્વાઇન ફ્લૂથી એક વ્યક્તિનું મોત થયું છે. કાસા રોડ પર રહેતા 52 વર્ષીય આધેડનું મોત થયું છે. દર્દીનો રિપોર્ટ સ્વાઇન ફૂલુ પોઝિટિવ આવ્યો હોવા છતા જીલ્લા આરોગ્ય વિભાગને જાણ ન કરતા લેબ સંચાલકને નોટિસ આપવામાં આવી હતી. મહેસાણા જીલ્લામાં સ્વાઇન ફ્લુ ના 24 કેસ શંકાસ્પદ નોંધાયા છે, જેમાંથી ચાર કેસ સ્વાઇન ફ્લૂ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે.


આ લોકોને સૌથી વધુ જોખમ


બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વૃદ્ધો વધુ જોખમ છે. આ સિવાય હૃદય અથવા ફેફસાના રોગ (અસ્થમા, COPD, એમ્ફિસીમા), ડાયાબિટીસ, સ્થૂળતા સહિત અન્ય રોગોથી પીડિત લોકોમાં ચેપનું જોખમ વધારે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અનુસાર, વર્ષ 2009માં સ્વાઈન ફ્લૂના 'H1N1' પ્રકારે ભારે તબાહી મચાવી હતી, જેના કારણે તેને 'રોગચાળો' જાહેર કરવામાં આવ્યો હતો. જો કે, 2009 પહેલા, ઈન્ફલ્યુએન્ઝા A(H1N1) વાયરસ ક્યારેય લોકોમાં ચેપના કારણ તરીકે ઓળખાયા ન હતા. આ વાઇરસના આનુવંશિક પૃથ્થકરણમાં જાણવા મળ્યું છે કે તે પ્રાણીના ઈન્ફલ્યુએન્ઝા વાયરસથી ઉદ્દભવ્યું છે, જે મૂળ ડુક્કરમાં જોવા મળે છે. આ સાથે WHO એ પણ માહિતી આપી હતી કે સ્વાઈન ફ્લૂનો મોસમી વાયરસ સાથે કોઈ સંબંધ નથી. જૂન 2009માં WHOએ તેને મહામારી જાહેર કરી ત્યાં સુધીમાં તે કુલ 74 દેશોમાં ફેલાઈ ચૂકી હતી. તેના ફેલાવા પછી, વિશ્વ આરોગ્ય સંસ્થાએ યુએસ સેન્ટર ઓફ ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (USCDC) અને નેધરલેન્ડ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ સર્વિસ રિસર્ચ (NIVEL) સાથે મળીને એક ડેટા તૈયાર કર્યો, જેમાં આ વાયરસથી પીડિત લોકો વિશે માહિતી આપવામાં આવી હતી. નેશનલ લાઇબ્રેરી ઑફ મેડિસિન મુજબ, સ્વાઈન ફ્લૂ એ ઈન્ફલ્યુએન્ઝાથી થતો રોગ છે જે ચેપગ્રસ્ત વ્યક્તિના શ્વસન માર્ગમાં ચેપનું કારણ બને છે. ઉપરાંત, તેના લક્ષણો કોઈપણ સામાન્ય મોસમી રોગ જેવા છે, જેમાં તાવ, ઉધરસ, છીંક આવવી, શરીરના તાપમાનમાં વધારો અથવા ઘટાડો, માથાનો દુખાવો, થાક અને નબળાઈનો સમાવેશ થાય છે.


સ્વાઈન ફ્લૂના લક્ષણો



  • ઉચ્ચ તાવ

  • સ્નાયુમાં દુખાવો

  • ગળામાં દુખાવો

  • ઉધરસ

  • છીંક

  • થાક

  • વહેતુ નાક

  • ઉલટીની લાગણી

  • શ્વાસની સમસ્યા