Teachers Day 2024: 5 સપ્ટેમ્બરના રોજ દેશના 50 શિક્ષકોને નેશનલ ટીચર્સ એવોર્ડ આપવામાં આવશે. દેશના 50 શિક્ષકોમાં ગુજરાતના બે શિક્ષકોની પસંદગી કરવામાં આવી છે. જેમાં એક સાવરકુંડલા તાલુકાના બાઢડાપરા પ્રાથમિક શાળાના શિક્ષક ચંદ્રેશકુમાર બોરીસાગર અને આણંદના વડદલા ગામની હાઇસ્કૂલમાં 16 વર્ષથી આચાર્ય તરીકે સેવા આપતા શિક્ષક વિનય શશિકાન્ત પટેલની નેશનલ ટીચર્સ એવોર્ડ 2024 માટે પસંદગી થઇ છે.


અમરેલીના નેશનલ એવોર્ડ વિજેતા શિક્ષક ચંદ્રેશકુમાર બોરીસાગરે બાઇક પર હરતી ફરતી શાળા બનાવી હતી. તેમણે કહ્યું હતું કે “હું શિક્ષણમાં ઇનોવેટિવ કામ કરવા માંગતો હતો. રાષ્ટ્રીય શિક્ષણ નીતિએ મને એ કામ માટે પ્રેરણા અને ઊર્જા આપી હતી. “પ્રવેશોત્સવ એ ગુજરાત સરકારનો સફળ કાર્યક્રમ છે, બાળકના જીવનનો તે ઉત્તમ ઉત્સવ છે” શ્રેષ્ઠ શાળાથી શ્રેષ્ઠ રાષ્ટ્રના નિર્માણ માટે પ્રયત્નશીલ ચંદ્રેશકુમારે પ્રયોગોની હકારાત્મક અસર બાળકોના ઘડતરમાં જોવા મળી રહી છે અને શિક્ષણ ક્ષેત્રમાં તેમના સંનિષ્ઠ પ્રયાસોના પરિણામે તેમને નેશનલ ટીચર્સ એવોર્ડ 2024 આપવામાં આવશે.


સંગીતની સાધના કરતા ચંદ્રેશકુમારે જણાવ્યું કે કહ્યું હતું કે “હું સંગીતમાં રસ ધરાવું છું અને સંગીતના માધ્યમથી શિક્ષણકાર્યને સરળ બનાવી દઉં છું. મેં બાઇક પર હરતી ફરતી શાળા બનાવીને ગીતોના માધ્યમથી શિક્ષણકાર્ય માટે બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. તેમાં સ્થાનિક લોકગીતોનો ઉપયોગ શિક્ષણના ગીતો તરીકે કર્યો હતો. વર્ગખંડમાં પણ સંગીતના ઉપયોગથી બાળકોને સમજાવવામાં ઘણી સફળતા મળી છે. ગાયન, વાદન અને અભિનયથી હું શિક્ષણ સરળ બનાવું છું કારણ કે સંગીત એ ગહન વિષયને સહજ બનાવી દે છે.”

રાષ્ટ્રીય શિક્ષણ નીતિના મહત્વ અંગે જણાવતા ચંદ્રેશકુમારે જણાવ્યું કે, “રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020થી સોનાનો સૂરજ ઉગ્યો છે. આ નીતિમાં ચેપ્ટર 4.7 અંતર્ગત કલાના માધ્યમથી અધ્યયનને આનંદપ્રદ બનાવવાની વાત છે. ચેપ્ટર 4.8માં રમતગમતના માધ્યમથી શિક્ષણ અને બાળકોના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યની વાત કરવામાં આવી છે. આ અભિગમથી હું જે ઇનોવેટિવ કાર્ય કરતો હતો તેને આગળ લઇ જવા માટે મને નવી ઊર્જા અને પ્રેરણા મળી છે. ભારતના સાંસ્કૃતિક મૂલ્યોને સાથે લઇને બાળકોના વર્તમાન અને ભવિષ્યને નિર્ધાર કરવાની દિશામાં આ ખૂબ જ મહત્વપૂર્ણ છે. ”

બાઢડાપરા પ્રાથમિક શાળાના પરિસરમાં ભાષાને સાંભળીને શીખવાના અભ્યાસ તરીકે વર્ગખંડની બહાર સ્પીકર પર અમુક સમયે અંગ્રેજી કવિતાઓ વગાડવામાં આવે છે. એ કવિતાઓ સાંભળીને બાળકો અંગ્રેજી ભાષા વધુ સારી રીતે શીખી રહ્યા છે. તે સિવાય વૃક્ષની ડાળીઓ અને કેરમની કુકરીઓ પર મૂળાક્ષરો લખીને નવીન પ્રયોગો કરવામાં આવ્યા છે. આ મૂળાક્ષરો બાળકોની નજરમાં પડે તો તેમના મસ્તિષ્કમાં તે સરળતાથી અંકિત થાય છે અને તે શીખવામાં પણ તેમને રસ પડે છે. બાળકોના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે વિવિધ રમતગમત પ્રવૃત્તિઓ અને હોમવર્કમાં લેખન અને વાંચન સાથે સાંભળીને બોલવાનું અને અભિનયનું કાર્ય પણ આપવામાં આવે છે. વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટેના આ પ્રયોગોથી સારા પરિણામો જોવા મળી રહ્યા છે.


Teachers Day 2024: આજે શિક્ષક દિવસ પર દેશના 50 શિક્ષકોને અપાશે એવોર્ડ, ગુજરાતના આ શિક્ષકો પણ થશે સન્માનિત