ગાંધીનગર: 8 ફેબ્રુઆરીથી રાજ્યની કૉલેજોમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે વર્ગખંડ શરૂ કરવાની જાહેરાત કરી છે. શિક્ષણ વિભાગ દ્વારા આ અંગે બહાર પાડવામાં આવેલા ઠરાવમાં જણાવાયું છે કે, પ્રથમ વર્ષના શૈક્ષણિક અભ્યાસક્રમ માટેના વર્ગખંડો શરૂ કરવામાં આવે ત્યારે બે વિદ્યાર્થીઓ વચ્ચે સોશિયલ ડિસ્ટન્સનું પાલન તેમજ વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા ઝીગ-ઝેગ, સ્ટેગર્ડમેનરમાં ગોઠવવાની રહેશે. શિક્ષણ અગ્ર સચિવ અંજુ શર્માએ આ નિર્ણયની વધુ વિગતો આપી હતી.


તેમણે કહ્યું કે રાજ્યમાં કોરોના સંક્રમણ સતત ઘટી રહ્યું છે ત્યારે વિદ્યાર્થીઓના લાંબાગાળાના શૈક્ષણિક હિતમાં રાજ્ય સરકારે અગાઉ 11 જાન્યુઆરીથી પ્રથમ તબક્કે તમામ પોસ્ટ ગ્રેજ્યુએટ, પી.એચ.ડી, એમ.ફિલ અભ્યાસક્રમો તેમજ મેડીકલ, પેરામેડિકલના અને અન્ય સ્નાતક અભ્યાસક્રમોના અંતિમ વર્ષના તમામ વિદ્યાર્થીઓ માટે વર્ગખંડો ભૌતિક રીતે શરૂ કરાવેલા છે.

હવે, શિક્ષણ વિભાગ અને આરોગ્ય વિભાગના વરિષ્ઠ અધિકારીઓની સંયુકત બેઠકમાં ચર્ચા-પરામર્શ બાદ રાજ્ય સરકારે 8 ફેબ્રુઆરી સોમવારથી પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને પણ વર્ગખંડ-ભૌતિક શિક્ષણ આપવા કોલેજો શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.