રાજકોટઃ ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. પરિણામ ખૂબ ઓછું હોવાથી ઘણાં વિદ્યાર્થીઓ નાખુશ થયા હતાં. ઉપલેટાની એક વિદ્યાર્થિની ધોરણ 10માં બે વિષયમાં નાપાસ થતા બિલ્ડિંગના છઠ્ઠા માળેથી કૂદી આપઘાત કરવાનો પ્રાયસ કર્યો હતો. તેને સારવાર માટો હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

મળી રહેલી માહિતી અનુસાર ઉલેટાની શ્રદ્ધા સોસાયટીમાં રહેલી ઉષાગૌરી પરમાર નામની વિદ્યાર્થિનીએ ધોરણ 10ની બોર્ડની પરીક્ષા આપી હતી. બે વિષયમાં નાપાસ થતાં તે નિરાશ થઈ ગઈ હતી. બપોરના સમયે તેણે નજીકમાં આવેલા તુલસી એપાર્ટમેન્ટના છઠ્ઠા માળેથી કૂદી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

જ્યારે તે કૂદી ત્યારે ગ્રાન્ડફ્લોર પર આવેલી દુકાનોના છાપરા પર પડી હતી. જેના કારણે તેનો જીવ બચી ગયો હતો. લોકોને જાણ થતાં તરત જ દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત ઉષા ગૌરીને સારવાર માટે નજીકમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા.