અમદાવાદઃ ભાજપના ધારાસભ્ય અને ગુજરાત સરકારમાં રાજ્ય મંત્રી એવા પરષોત્તમ સોલંકી માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. વર્ષ 1996 અને 2014માં નોંધાયેલા બે કેસની ફરિયાદ હાઈકોર્ટે રદ્દ કરી છે.


વર્ષ 1996માં વિધાનસભા ચૂંટણી દમરિયાન પોલીસે કેમિકલની 19 બોટલ સાથે બે લોકોની ધરપકડ કરી હતી. આ કેમિકલ ચૂંટણીમાં વપરાતી શાહીને ભૂંસવા માટે ઉપયોગમાં લેવાતું હતું. બન્ને લોકોએ પરષોત્તમ સોલંકીના એજન્ટે હોવાની કબુલાત કરી હતી. આ કેસમાં વર્ષ 2016માં ૨૦૧૬માં મેજિસ્ટ્રેટ કોર્ટ વોરંટ પણ જારી કર્યુ હતું. જોકે આ કેસ હાઈકોર્ટે રદ્દ કર્યો અને આદેશમાં કોર્ટે નોંધ્યું કે, મેજિસ્ટ્રેરિયલ કોર્ટ સમક્ષ ઓથોરિટી દ્વારા કોઇ લેખિત ફરિયાદ ન કરવામાં આવે ત્યાં સુધી કોર્ટ પોતાની રીતે આમ સંજ્ઞાાન લઇ શકે નહીં. જેથી કોર્ટનો આ આદેશ કાયદા અને પ્રસ્થાપિત સિદ્ધાંતોની દ્રષ્ટિએ ક્ષતિપૂર્ણ હોવાથી પોલીસ ફરિયાદ અને કાર્યવાહી રદ કરવામાં આવે છે.



બીજો કેસ 2014નો છે જેમાં પરષોત્તમ સોલંકી ભાજપના સ્ટાર પ્રચારક હતા અને તેઓ હેલિકોપ્ટરમાં જસદણ પ્રચાર માટે આવ્યા હતા. અહીં તેમના ઉતર્યા બાદ તેમના હેલિકોપ્ટરમાંથી ચૂંટમી અધિકારીઓને 1.75 લાખ રૂપિયા રોકડા મળી આવ્યા હતા. જેના આધારે મેજિસ્ટ્રેટ સમક્ષ ફરિયાદ થઈ હતી.

આ પિટિશન રદ્દ કરવા માટે અરજી સમયે કહેવામાં આવ્યું કે, કેસમાં પોલીસે આપેલા રિપોર્ટ સામે ચૂંટણી અધિકારીએ કોઈ વાંધો ઉઠાવ્યો નથી. જેને કોર્ટે ગ્રાહ્ય રાખી કહ્યું કે, આ રોકડનો ઉપયોગ લાંચ માટે થવાનો છે તેવા માત્ર અનુમાનના આધારે કાર્યવાહી શરૂ થઇ છે. જેથી કેસનું મૂલ્યાંકન કરતા લાંચનો કેસ બનતો નથી.