અમદાવાદઃ ગુજરાતમાં ભાજપના નેતાઓનો અસંતોષ દૂર કરવા અને વિધાનસભાની ચૂંટણી પહેલાં તેમને સક્રિય કરવા માટે નરેન્દ્ર મોદીએ રાજ્યનાં 45 બોર્ડ નિગમના ચેરમેનની નિમણૂંક કરવાનો નિર્ણય લીધો છે. ભાજપ હાઈકમાન્ડ આ મહિનાના અંતમાં એટલે કે ઓગસ્ટ મહિનામાં જ આ નિમણૂકો કરશે. આ પૈકી 25 બોર્ડ-નિગમોમાં ચેરમેન તરીકે ધારાસભ્યોને નિમવામાં આવશે.


ભાજપ હાઈકમાન્ડે એટલે કે નરેન્દ્ર મોદીએ આ માટે છ સભ્યોની કમિટી બનાવી છે કે જે ક્યા બોર્ડ-નિગમમાં કોને નિમવા તે અંગે નિર્ણય લેશે. અમિત શાહના આદેશથી આ કમિટી બનાવાઈ હોવાનું ભાજપનાં સૂત્રો જણાવે છે.

આ કમિટીમાં ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી. નડ્ડા, કેન્દ્રીય ગૃહ મંત્રી  અમિત શાહ, મુખ્યમંત્રી વિજય રૂપાણી, રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલ અને ગુજરાતના મહેસૂલ મંત્રી કૌશિક પટેલનો સમાવેશ કરાયો છે.

અમિત શાહ અને જેપી નડ્ડા સહિતના છ સભ્યોની આ પેનલ રાજ્યમાં 45 બોર્ડ નિગમમાં ચેરમનની વરણી માટેનાં નામોની યાદી તૈયાર કરશે. આ યાદી પર વડાપ્રધાન  નરેન્દ્ર મોદી મંદૂરીની મહોર મારે પછી તેમની જાહેરાત થશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઓગસ્ટના અંતમાં બોર્ડ નિગમના ચેરમેનોની વરણી થશે. બોર્ડ નિગમના ચેરમેન વરણી બાદ કેબિનેટનું વિસ્તરણ થાય તેવી શક્યતા છે.