રાજ્યમાં લોકોને વ્યાજના વિષચક્રમાંથી મુક્ત કરવા રાજ્ય સરકારે ખાસ ડ્રાઇવ શરૂ કરી હતી. વ્યાજખોરો પર લગામ કસવા ગુજરાત પોલીસે કડક કાર્યવાહી કરી હતી. ગુજરાત પોલીસની સ્પેશિયલ ડ્રાઇવમાં ૨૨૬ વ્યાજખોરો સામે ૧૩૪ એફ.આઇ.આર દાખલ કરવામાં આવી હતી. અનધિકૃત વ્યાજખોર પોલીસ કાર્યવાહીથી બચે નહિ અને કોઈ નિર્દોષ સામે ખોટો કેસ ન થાય તેની ખાસ તકેદારી સાથે કાર્યવાહી કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સૂચના આપી હતી.


21 જૂનથી અત્યાર સુધીમાં રાજ્યભરમાં યોજાયેલા 568 લોકદરબારમાં ૩૨ હજારથી વધુ નાગરિકો સામેલ થયા હતા. વ્યાજખોરોના આતંકથી નાગરિકોને બચાવવા માટે રાજ્યના મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની સૂચનાથી ગુજરાત પોલીસે 21 જૂનથી રાજ્યભરમાં તમામ શહેર-જિલ્લા ખાતે નાણાં ધીરધાર અધિનિયમ-૨૦૧૧ અંગે ખાસ ડ્રાઇવ શરૂ કરવામાં આવી હતી. 31 જૂલાઇ 2024 સુધી ચાલનારી આ ડ્રાઇવ અંતર્ગત તમામ જિલ્લાઓમાં ઉચ્ચ પોલીસ અધિકારીશ્રીઓ દ્વારા લોક દરબાર યોજી તલસ્પર્શી તપાસ સાથે કડક કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.


આ સ્પેશિયલ ડ્રાઇવમાં અત્યાર સુધીમાં ૧૩૪ એફ.આઇ.આર દાખલ કરવામાં આવી છે


રાજ્યભરમાં વ્યાજખોરો વિરુદ્ધ ચાલી રહેલી આ સ્પેશિયલ ડ્રાઇવમાં અત્યાર સુધીમાં ૧૩૪ એફ.આઇ.આર દાખલ કરવામાં આવી છે. જેમાં ૨૨૬ આરોપીઓ સામે ગુનાઓ દાખલ થયા છે. પોલીસે શરૂ કરેલી કાર્યવાહીથી અનેક નાગરિકોના જીવ બચ્યાં છે તો અનેકને પોતાની ફસાઈ ચૂકેલી જીવનભરની મૂડી પરત મળી છે.


અનધિકૃત એકપણ વ્યાજખોર પોલીસની કડક કાર્યવાહીથી બચે નહિ અને કોઈ નિર્દોષ વ્યક્તિ સામે ખોટો કેસ ન થઇ જાય તેની ખાસ તકેદારી સાથે સમગ્ર કાર્યવાહી કરવા મુખ્યમંત્રીએ ગુજરાત પોલીસને સૂચના આપી હતી.


મુખ્યમંત્રીએ પોલીસ અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી હતી કે આ ડ્રાઇવનો ઉદ્દેશ માત્ર ફરિયાદોની સંખ્યા કરવાનો નથી. પરંતુ ગ્રાહ્ય ફરિયાદોને જ નોંધવામાં આવે અને તેના આધારે કડકપણે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે. સાથે સાથે જે અરજદાર પાસેથી વ્યાજખોરે ખોટી રીતે નાણા પડાવ્યા હોય તે નાણા પણ પરત અપાવવાનો અભિગમ છે.


રાજ્યભરમાં યોજાયેલા ૫૬૮ લોકદરબારમાં ૩૨ હજારથી વધુ નાગરિકો જોડાયા છે.


૨૧ જૂનથી અત્યાર સુધીમાં રાજ્યભરમાં યોજાયેલા ૫૬૮ લોકદરબારમાં ૩૨ હજારથી વધુ નાગરિકો જોડાયા છે. આ લોક દરબારમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા નિર્દોષ લોકોએ પોલીસ સમક્ષ પોતાની વ્યથા ઠાલવી હતી.  આ લોકદરબારમાં પોલીસ મહાનિરીક્ષક, પોલીસ અધિક્ષક તથા નાયબ પોલીસ અધિક્ષક કક્ષાના ઉચ્ચ અધિકારીઓએ વ્યાજખોરોના દબાણથી પરેશાન નાગરિકોની વેદના ખૂબ જ ધ્યાનથી સાંભળી અને તેઓ લોકોની વચ્ચે ગયા અને તેમની ફરિયાદોના નિકાલ માટે તાત્કાલિક ધોરણે કાર્યવાહી હાથ ધરી હતી.


દેશમાં કેન્દ્ર સરકાર જનસામાન્ય માટે અનેક ઉપયોગી યોજનાઓ ચલાવે છે. આ તમામ યોજનાઓની જાણકારીના અભાવે જ ઘણીવાર જનતા વ્યાજખોરોના ચુંગાલમાં ફસાય છે. લઘુથી માંડીને મોટા વેપાર માટે પણ કેન્દ્ર સરકારની સ્વનિધિ કે મુદ્રા યોજનામાં સાવ નજીવા દરે અને સબસિડીના લાભ સાથે નાણાં આપવામાં આવે છે પરંતુ જાણકારીના અભાવે લોકો વ્યાજખોરો પાસેથી નાણાં લે છે.


તેથી સામાન્ય પ્રજાને લોન-ધિરાણ મેળવવામાં મદદરૂપ થવા માટે રાષ્ટ્રીયકૃત બેન્કો અને સહકારી બેન્કોના પ્રતિનિધીઓ તથા જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના અધિકારીઓ તથા જીલ્લામાં આ પ્રકારની લોન સહાય આપતાં અન્ય સરકારી વિભાગોના પ્રતિનિધીઓ સાથે સંકલન કરી લોન ધિરાણ અપાવવામાં સહાયતા માટે કેમ્પનું આયોજન કરવાનું પણ નક્કી કરવામાં આવ્યુ છે.