આવતીકાલે દશેરા છે. નવરાત્રીની જેમ રાજ્યમાં રાવણ દહનના કાર્યક્રમનું પણ આયોજન કરી શકાશે. ગુજરાતના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ માહિતી આપી હતી. 400 લોકોની મર્યાદામાં કાર્યક્રમના આયોજન માટે પરવાનગી આપવામાં આવશે.


આ પહેલા નવરાત્રી મામલે મુખ્યમંત્રી અને ગૃહ રાજ્ય મંત્રીએ માત્ર શેરી ગરબા, સોસાયટી અને ફ્લેટના ગરબા, દુર્ગાપૂજા, વિજ્યાદશમી ઉત્સવ, શરદપૂર્ણિમા ઉત્સવ જેવા આયોજનો 400 વ્યક્તિઓની મર્યાદામાં યોજવાની છૂટ આપવાનો નિર્ણય કર્યો હતો.


ગુજરાતમાં કોરોના કેસ


ગુજરાતમાં ગઈકાલેકોરોનાના નવા 26  કેસ નોંધાયા છે. તો બીજી તરફ 20 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,15,929 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.76 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી ગઈકાલેએક પણ મોત થયું નથી જે રાહતના સમાચાર છે.  ગઈકાલે 2, 85, 840 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.


જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 195 કેસ છે. જે પૈકી 05 વેન્ટીલેટર પર છે, જ્યારે 190 નાગરિકો સ્ટેબલ છે. 8,15,929 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10086 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. અમદાવાદ કોર્પોરેશનમાં 6, વલસાડમાં છ, જૂનાગઢમાં પાંચ, સુરત કોર્પોરેશનમાં ચાર, વડોદરા કોર્પોરેશનમાં ત્રણ, ખેડા અને નવસારીમાં કોરોનાનો નવો એક કેસ નોંધાયો છે.


બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં હેલ્થકેર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 2 લોકોને કોરોના વાયરસની રસીનો પ્રથમ ડોઝ જ્યારે 2980  નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 24812 નાગરિકોને રસીનો પ્રથમ અને 55988 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષના નાગરિકો પૈકી 79149 નાગરિકોને રસીનો પ્રથમ અને 122909 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આજના દિવસમાં 2,85,840 રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 6,59,98,048 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.


અમદવાદ, અમરેલી, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ભરુચ, ભાવનગર, ભાવનગર કોર્પોરેશન, બોટાદ, છોટા ઉદેપુર,દાહોદ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, ગાંધીનગર કોર્પોરેશન, ગીર સોમનાથ, જામનગર,  જામનગર કોર્પોરેશન,  જૂનાગઢ કોર્પોરેશન,  કચ્છ, મહીસાગર, મહેસાણા,  મોરબી, નર્મદા, પંચમહાલ, પાટણ, પોરબંદર, રાજકોટ, રાજકોટ કોર્પોરેશન,  સાબરકાંઠા, સુરત, સુરેન્દ્રનગર, તાપી અને વડોદરામાં એક પણ કોરોના વાયરસનો કેસ નોંધાયો નથી.