ગાંધીનગરઃ ગુજરાત સરકારે આત્મનિર્ભર યોજના હેઠળ રૂપિયા 5000 કરોડના આર્થિક પેકેજની જાહેરાત કરી હતી. આ જના હેઠળ નાના વેપારીઓને બેંકના માધ્યમથી એક લાખ રૂપિયા સુધીની લોન મળશે.  આ માટે આજથી બેંકમાંથી આત્મનિર્ભર યોજનાનાં ફોર્મ આપવાની બેંકો દ્વારા શરૂઆત કરાઈ છે.


આ યોજના હેઠળ નાના દુકાનદારો, વ્યક્તિગત વ્યવસાયિકો, વાળંદ, દરજી કામ, પ્લમ્બીંગ કામ, ઇલેક્ટ્રિશીયન કરનારા કારીગરો, ફેરિયા વગેરેને લૉકડાઉનના કારણે આવેલી આર્થિક સંકડામણની સ્થિતિમાંથી પુન: બેઠા કરવા માટે રૂપિયા 1 લાખ સુધીની લોન માત્ર 2 ટકા વ્યાજે ત્રણ વર્ષ માટે મળશે. આ લોન સહકારી બેન્કો, અર્બન કો-ઓપરેટિવ બેન્કો તથા ક્રેડિટ સોસાયટીઓ આપશે. આ  રીતે આપવામાં આવેલી લોનનું છ ટકા વ્યાજ રાજ્ય સરકાર ભોગવવાની છે. સમગ્ર રાજ્યની 9000થી વધુ શાખાઓ પર આ ફોર્મનું વિતરણ શરૂ થઈ ગયું છે.

ગુજરાત સરકારે જાહેરાત કરી હતી કે, 21-5-2020થી નક્કી કરેલી સંસ્થાઓમાંથી ગુજરાત આત્મનિર્ભર યોજનાના ફોર્મ વિનામૂલ્યે મળશે. રાજ્યભરની જિલ્લા સહકારી બેંકો, અર્બન કો-ઓપ બેંકો,  ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટીઓ પરથી આ ફોર્મ મળી રહ્યાં છે.