આ ભાજપ શાસિત રાજ્યે ગુજરાત પાસે કાઢી 7326 કરોડની ઉઘરાણી, ગુજરાતે પોતે પાંચ કરોડ લેવાના નિકળતા હોવાનો કર્યો દાવો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 23 Nov 2020 10:21 AM (IST)
આ મામલો હવે સરદાર સરોવર જળાશય નિયમન સમિતિમાં પહોંચ્યો છે.
અમદાવાદઃ ગુજરાત અને મધ્યપ્રદેશ સરકાર વચ્ચે વીજળીના ક્લેમને લઈને નવો વિવાદ સર્જાયો છે. મધ્ય પ્રદેશ સરકારે ગુજરાત પાસે 904 કરોડ રૂપિયાનો ક્લેમ કર્યો છે. જોકે આ ક્લેમને ગુજરાત સરકારે ફગાવી દીધો છે. મધ્ય પ્રદેશ સરાકરના કહેવા અનુસાર ગુજરાતે સરદાર સરોવર ડેમ માટેના કરાર મુજબ વીજ ઉત્પાદન કર્યું નથી જેના કારણે એમપીએ બહારથી વીજળી ખરીદવી પડી છે જેના માટે 904 કરોડ રૂપિયાનો ક્લેમ કર્યો છે. આ વાતને ગુજરાતી ફગાવી દેતા કહ્યું કે, એમપીએ જો ઇન્દિરા સાગર ડેમમાં પાણી ન અટકાવ્યું હોત તો વીજ ઉત્પાદન કર્યું હોત. આ કારણે ગુજરાતને 1 કરોડ યૂનિટનું નુકસાન થયું છે. આથી એમપી પાસેથી ગુજરાતને 5 કરોડ રૂપિયાને લેવાના થાય છે. આ મામલો હવે સરદાર સરોવર જળાશય નિયમન સમિતિમાં પહોંચ્યો છે. વીજળીની રકમ સાથે જ મધ્યપ્રદેશે કુલ 7 હજાર 326 કરોડનો ક્લેમ ગુજરાત સામે કર્યો છે. તેમાં પુનર્વસનની રકમનો પણ સમાવેશ થાય છે. આ અંગે નર્મદા ઘાટી વિકાસના એડિ. ચીફ સેક્રેટરી આઈસીપી કેસરીએ જણાવ્યું છે કે, મધ્યપ્રદેશ પોતાના ક્લેમના પક્ષમાં છે. આ વાતને એનસીએમાં રજૂ કરાશે. ટૂંક સમયમાં જ જવાબ તૈયાર કરી ગુજરાત અને એનસીએને મોકલવામાં આવશે.