ભુજઃ ભુજ તાલુકાના ધ્રોબાણા ગામમાં નદીના પટમાં ઘર બનાવીને અંદર રમત રમતાં ત્રણ બાળકો પર માટી ધસી પડતાં મોત નિપજ્યાની ગમખ્વાર ઘટના બની છે. આ ઘટનાના કારણે ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.


ભુજ તાલુકાના ખાવડા પંથકમાં આવેલા ધ્રોબાણા ગામે ત્રણ પિતરાઈ ભાઈઓ રઝાઉલ્લા રસીદ સમા (ઉ.વ.14), મુનીર કાદર સમા (ઉ.વ.13) તેમજ કલીમુલ્લા ભીલાલ સમા (ઉ.વ.16) ધ્રોબાણાના ગામની નદીના પટમાં રમવા ગયા હતા. નદીના પટમાં માટીનું ઘર બનાવીને તેમાં અંદર રમી રહ્યા હતા ત્યારે અચાનક માટી ધસી પડતાં ત્રણેય બાળકો દટાઈ ગયા હતા. બાળકોએ બહાર નિકળવાના પ્રયાસો કર્યા પણ સફળ થયા નહોતા. રેતી નીચે દબાવાથી શ્વાસ રૂંધાવાથી ત્રણેયના મોત નિપજ્યાં હતાં. આ અંગે કોઈને ખબર નહોતી તેથી કોઈ બચાવવા પણ નહોતું આવ્યું.

દરરોજ રાત્રે નિયમિત ઘરે પહોંચી આવતા બાળકો રાત્રે 8.30 લાગ્યા સુધી નહીં આવતા પરિવારજનો દ્વારા શોધખોળ હાથ ઘરવામાં આવી હતી. પરિવારજનો બાળકોને શોધતા શોધતા નદીના પટ તરફ આવ્યા ત્યારે મા ચપ્પલ પર તેમની નજર પડી હતી. તાત્કાલિક રેતી દૂર કરતાં ત્રણેય બાળકોના મૃતદેહો મળી આવ્યા હતા. આ મામલે ખાવડા પોલીસ સ્ટેશનમાં અકસ્માતે મોતની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

પીએસઆઈ જેપી સોઢાએ જણાવ્યું હતું કે, બાળકો દરરોજ ગામની નદીના પટમાં રમવા માટે જતા હતા અને ત્યાં રેતીમાંથી પોલાણ બનાવીને રમત રમતા હતા. રવિવારે સાંજે પણ તેઓ ત્યાં ગયા હતા અને 6.30 વાગ્યાના અરસામાં બનાવ બન્યો હતો. બાળકોએ 8થી 10 ફૂટનું પોલાણ બનાવ્યું હતું અને તેમાં બેસીને રમતા બાળકો પર માટી ઘસી પડતાં તેઓ દટાઈ ગયા હતા. આ ઘટનામાં જે ત્રણ બાળકો મૃત્યું પામ્યા છે. તેમાં એક બાળકાના પિતા છુટક મજૂરી કરે છે, બીજા બાળકના પિતા સરહદ પર રોડના કામમાં મજૂરી કરે છે જ્યારે ત્રીજા બાળકના પિતા બિમાર છે.