ભરુચઃ ઝઘડિયાના ગુમાનદેવ નજીક અજાણ્યા વાહનની અડફેટે 3 મહિલાના મોત થયા છે. બે મહિલાના ઘટનાસ્થળે અને એકનું સારવાર દરમ્યાન મોત નિપજતા મૃત્યુ આંક ત્રણ પર પહોંચ્યો છે. ત્રણ મહિલાઓના મોતને પગલે ગામના લોકો વિફર્યા હતા અને રોડ પર ચક્કાજામ કરી દીધો હતો.


આ અંગે મળતી વિગતો પ્રમાણે આજે સવારી ઉચેડીયા ગામની ત્રણ મહિલાઓ શાકભાજી વેચવા જઈ રહી હતી, ત્યારે અજાણ્યા વાહને ટક્કર મારતા બે મહિલાઓના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે એક મહિલાનું સારવાર દરમિયાન મોત થયું હતું. ઘટનાની જાણ થતાં ગામ લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

અકસ્માતને પગલે લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો અને રસ્તા પર ચક્કાજામ કરી દીધો હતો, જેને કારણે રોડ પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. ઝઘડિયા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે.