જામનગરઃ આજે જામનગરમાં કોરોનાના 3 કેસો સામે આવ્યા છે. જોકે, આ ત્રણેય કેસો અમદાવાદથી જામનગર આવેલી ત્રણ મહિલાના છે. રવિવારે 5 મહિલા અને ત્રણ બાળકો અમદાવાદથી જામનગર આવ્યા હતા. જોકે, તેમને જામનગરમાં પ્રવેશ અપાયો ન હતો. તેમને ધ્રોલમાં જ રોકી સમરસ હોસ્ટેલ મોકલવામાં આવ્યા હતા. તેમજ આ તમામના સેમ્પલ લેવાયા હતા, જેમાંથી 3 મહિલાના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.


આ અંગે રાજ્યકક્ષાના આરોગ્યમંત્રી હકુભા જાડેજાએ જણાવ્યું હતું કે, મૂળ જામનગરની રહેવાસી એવી ત્રણ મહિલાઓ અમદાવાદથી જામનગર પરત ફરી રહી હતી ત્યારે ધ્રોલ નજીક તેની તપાસણી કરી અને સમરસ હોસ્ટેલમાં રાખવામાં આવ્યા છે. જામનગરમાં મહિલાઓ પ્રવેશી ના હોય ચેપ લાગવાની કોઈ શક્યતાઓ નથી. આ સાથે અફવાથી લોકો દૂર રહે તેવી અપીલ તેમણે કરી હતી.