મોડી રાત્રે અરવલ્લી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો. મોડાસા, શામળાજી સહિતના વિસ્તારોમાં રાત્રે પવન ફૂંકાવાનો શરૂ થયો અને કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરરસ્યો છે. પવન સાથે વરસાદી છાંટા પડવાના કારણે ખેતીના પાકને નુકસાન જવાની ભીતિ છે. જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ઘઉંના પાકને નુકસાન જાય તેવી ચિંતા ખેડૂતોને સતાવી રહી છે.


આ પહેલા 12 એપ્રિલે ગિરિમથક સાપુતારા સહિત તળેટી વિસ્તારમાં સાંજે 5 વાગ્યાના અરસામાં વાતાવરણમાં આવેલા બદલાવ બાદ પવનના સુસવાટા સાથે ઝરમર વરસાદ વરસી પડ્તા સમગ્ર પંથકમાં શીત લહેર વ્યાપી જવા પામી હતી.


મળતી માહિતી મુજબ ગિરિમથક સાપુતારા સહિત તળેટી વિસ્તારમાં બપોર બાદ એકાએક વાતાવરણમાં આવેલા બદલાવ બાદ આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા જતા ગાજવીજ સાથે ઝરમર વરસાદ વરસી પડ્યો હતો.


વરસાદને કારણે ઉનાળુ પાક ડુંગળી, ફણસી, ઘઉં ,જેવા પાકો તેમજ સુસવાટા મારતા પવન ફૂંકાતા કેરી ખરી પડતા નુકસાન થવાની સંભાવના વધી રહી હતી.


નોંધનીય છે કે, સ્કાઇમેટે (Weather Forecast 2021) 2021માં વરસાદ (Monsoon)સારો રહેવાનો અંદાજ લગાવ્યો છે. ચોમોસાના ચાર મહિના જૂન, જુલાઇ,ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં સારો વરસાદ થવાની સંભાવના છે. એજન્સીએ અંદાજ લગાવ્યો છે કે એવરેજ વરસાદ 880.6 મિમીની સરખામણીમાં 103 ટકા વરસાદ થઇ શકે છે.


ખાસ વાત એ છે કે મોનસૂનના શરૂઆતના મહિનામાં સારો વરસાદ થઇ શકે છે. સ્કાઇમેટે કહ્યું કે જૂન અને સપ્ટેમ્બરમાં વધારે વરસાદના સંકેત જોવા મળી રહ્યા છે.જોકે ઉત્તર ભારતના મેદાની ભાગ અને દેશના ઉત્તર-પૂર્વના કેટલાક ક્ષેત્રોમાં વરસાદ ઓછા પડી શકે છે. એજન્સીએ કહ્યું કે આંતરિક કર્ણાટકમાં પણ જુલાઇ-ઓગસ્ટમાં મોનસૂન કમજોર રહેશે. ખાસ વાત છે કે આ બંને મહિનાને મોનસૂનનો પ્રમુખ સમય માનવામાં આવે છે.


સ્કાઇમેટના આંકડા જણાવે છે કે જૂનમાં 166.9 મિમીના મુકાબલે 106 ટકા વરસાદ થઇ શકે છે. એજન્સીના મતે આ દરમિયાન 70 ટકા સંભાવના સામાન્ય વરસાદની છે. જ્યારે 20 ટકા સંભાવના છે કે વધારે વરસાદ થઇ શકે છે. સામાન્યથી ઓછા વરસાદની સંભાવના ફક્ત 10 ટકા જ છે.