નવી દિલ્લી: આજે ઇબીસી અનામત મુદ્દે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થવાની છે, ત્યારે આજે સુપ્રીમકોર્ટની સુનાવણી પર સૌની નજર મંડાયેલી છે. નોંધનીય છે કે, ગત સુનાવણી દરમિયાન ગુજરાત સરકારે સરકારી નોકરીઓ તેમજ શિક્ષણમાં આર્થિક પછાત સવર્ણોને આપેલા ૧૦ ટકા અનામતને રદ્દ કરવાના હાઈકોર્ટના ચુકાદા સામે સુપ્રીમે સ્ટે આપ્યો હતો. સાથે જ સુપ્રીમે એવો આદેશ પણ કર્યો હતો કે, આ અંગે આગામી સપ્તાહે વધુ સુનાવણી હાથ ન ધરાય ત્યાં સુધી ઈબીસી કવોટા હેઠળ કોઈ એડમિશન ન આપવા. મહત્વનું છે કે, ૧લી મે ૨૦૧૬થી લાગુ કરાયેલા ઈકોનોમિક બેકવર્ડ કલાસ (ઈબીસી) અનામત સામે ગુજરાત હાઈકોર્ટમાં અરજીઓ કરાઈ હતી. જેના પર સુનાવણી હાથ ધરતા કોર્ટે આર્થિક અનામતને ગેરબંધારણીય ગણાવીને તેને રદ્દ કરવાનો હુકમ આપ્યો હતો. જોકે, હાઈકોર્ટના ચુકાદાને રાજય સરકારે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. જેના પર વધુ સુનાવણી માટે ૨૯મી ઓગસ્ટની તારીખ મુકરર કરી છે.