Ahmedabad News:અમદાવાદમાં બે નવા ફ્લાય ઓવરબ્રિજ માટે લીલી ઝંડી મળી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે  આ માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. અમદાવાદમાં બે નવા ફ્લાય ઓવરબ્રિજ માટે 185  કરોડ રૂપિયા ફાળવવાની જાહેરાત કરવામાં આ છે. .



સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે 652  મીટરનો ફ્લાય ઓવર બ્રિજ પાંજરાપોળ જંક્શન પર અંદાજિત 86.94 કરોડના ખર્ચે બનશે તો 779 મીટરનો બ્રિજ પંચવટી જંક્શન પર અંદાજે રૂપિયા 98.18 કરોડના ખર્ચે બનશે. અમદાવાદ મહાનગરપાલિકા વિસ્તારમાં  20 ફ્લાય ઓવર નિર્માણના નિર્ણય સામે અત્યાર સુધીમાં રાજ્ય સરકારે  7 બ્રિજના રૂ.  621.86  કરોડના કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મહાનગરમાં પાંજરાપોળ જંક્શન તથા પંચવટી જંક્શન પર બે નવા ફ્લાય ઓવર બ્રિજ બનાવવા માટે રૂપિયા  185.12  કરોડ ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.તદઅનુસાર 652  મીટર લંબાઈ સાથે 17 મીટર પહોળો પાંજરાપોળ જંક્શન ફ્લાય ઓવર બ્રિજ નિર્માણ પામશે. આ માટે અંદાજે રૂપિયા 86.94  કરોડ ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

પંચવટી જંક્શન પરનો ફ્લાય ઓવર રૂ. 98.18 કરોડના ખર્ચે નિર્માણ પામશે  જે  779.19 મીટર લંબાઇ  ધરાવતો અને 17 મીટર પહોળો બ્રિજ હશે. હાલ રાજ્ય સરકારે અમદાવાદમાં આ પૈકીના 7 ફ્લાય ઓવર બ્રિજ માટે રૂ.  612  કરોડની ફાળવણીની સૈદ્ધાંતિક અનુમતિ આપેલી છે.

હવે અમદાવાદમાં બે નવા ફ્લાય ઓવર બ્રિજ માટેની મહાનગરપાલિકાએ કરેલી દરખાસ્ત શહેરી વિકાસ વિભાગ દ્વારા મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ સમક્ષ રજૂ કરવામાં આવતા તેમણે 2023-24 ના વર્ષમાં થયેલી જોગવાઈઓમાંથી રૂ. 185.12 કરોડ ફાળવવા સૈદ્ધાંતિક અનુમોદન આપ્યું છે.

રાજ્ય સરકારે શહેરોને આર્થિક રીતે ગતિશીલ, જીવંત, રહેવા લાયક અને પર્યાવરણની દ્રષ્ટિએ સસ્ટેઇનેબલ અને કેપેબલ બનાવવા ‘ઈઝ ઓફ લિવિંગ’ પર ધ્યાન આપવાની નેમ રાખી છે.આ હેતુસર શહેરોમાં માર્ગો, પુલો, પાણી પુરવઠો, ગટર વ્યવસ્થા, આરોગ્ય અને પરિવહન જેવી માળખાકીય સગવડો સુદ્રઢ કરવા સહિતના શહેરી આયોજન અને વહીવટમાં ક્વોલિટેટીવ ચેન્‍જ માટે આ વર્ષના બજેટમાં શહેરી વિકાસ વિભાગ માટે કુલ રૂ. 21,696  કરોડનું બજેટ ફાળવાયું છે.

મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ તેમજ શહેરી વિકાસ સત્તામંડળોમાં બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસેલિટીઝના કામો વધુ સંગીન બનાવવા આ વર્ષના બજેટમાં રૂ. ૮૬૩૪ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. શહેરોના સર્વાંગી વિકાસ માટેની સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના વધુ ત્રણ વર્ષ એટલે કે, ૨૦૨૬-૨૭ સુધી ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.