ગાંધીનગર: ગુજરાત સરકારે અનલોક-4ની ગાઈડલાઈન જાહેર કરી છે. આ ગાઈડલાઈન મુજબ ગુજરાતમાં કન્ટેન્ટમેન્ટ ઝોનમાં 30 સપ્ટેમ્બર સુધી લોકડાઉન લંબાવવામાં આવ્યું છે. જ્યારે કન્ટેન્ટમેન્ટ ઝોન સિવાયના વિસ્તારમાં કેંદ્ર સરકારની માર્ગદર્શક સૂચનાઓ અનુસાર નિયમિત પ્રવૃત્તિ ચાલુ રાખવામાં આવે છે.


શૈક્ષણિક અને કોચિંગ સંસ્થાઓ 30 સપ્ટેંબર સુધી બંધ રહેશે, 21 સપ્ટેમ્બરથી ધાર્મિક, સામાજીક, રાજકીય, શૈક્ષણિક સમારોહ યોજી શકાશે.

રાજ્યમાં આજથી હોટેલ અને રેસ્ટોરન્ટ 11 વાગ્યા સુધી ખુલ્લા રાખી શકાશે. ગાર્ડન પણ ખુલશે. ધાર્મિક સ્થળો સંપૂર્ણ ખુલ્લા રાખી શકાશે. દુકાનોને હવેથી 24 કલાક સુધી ખુલ્લી રાખવાની છૂટ આપવામાં આવી છે. કન્ટેન્ટમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં સ્થાનિક સ્તરે લોકડાઉન જાહેર કરી શકાશે નહીં.

ઓટો રિક્ષામાં એક ડ્રાઈવર બે મુસાફરો બેસી શકશે. ટેક્સી અને ખાનગી વાહનોમાં એક ડ્રાઈવર અને બે મુસાફરો બેસી શકશે. ખાનગી વાહનની બેઠક ક્ષમતા 6થી વધુ હોય તો ચાર લોકોને મંજૂરી આપવામાં આવી છે. એસટી-ખાનગી બસ-કેબ સેવાને પણ 50 ટકા કેપેસિટી સાથે મંજૂરી આપવામાં આવી છે.

ગાઈડલાઈન્સ મુજબ હવે લારી-ગલ્લા અને શેરી ફેરિયાઓ પર કોઈ પ્રતિબંધ રહેશે નહીં. જ્યારે 60 ટકા કેપેસિટી સાથે લાઈબ્રેરીઓ પણ ખુલશે. થિયેટર બંધ રાખવામાં આવ્યા છે. ઓપન એર થિએટર 21મીથી ખોલી શકાશે.

શૈક્ષણિક સંસ્થાઓમાં 50 ટકા શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફને 21 સપ્ટેમ્બરથી ઓનલાઈન શિક્ષણ-ટેલિ કાઉન્સેલિંગ માટે બોલાવી શકાશે. 21 સપ્ટેમ્બરથી કન્ટેન્ટમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં ધો.9થી 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સ્વૈચ્છિ ધોરણે શિક્ષકોના માર્ગદર્શન અર્થે વાલીની લેખિતપૂર્વ મંજૂરી મેળવી સ્કૂલે જઈ શકશે.

ટેકનિકલ એન્ડ પ્રોફેશનલ પ્રોગ્રામ્સ ફોર PH.D અને અન્ય પોસ્ટ ગ્રેજ્યુએટ્સ કે જેમાં લેબ કે પ્રાયોગિક કાર્ય જરૂરી હોય તે અંગે ઉચ્ચ શૈક્ષણિક વિભાગ દ્વારા ગૃહમંત્રાલયના પરામર્શમાં નિર્ણય લેવામાં આવશે.

લગ્ન સમારોહમાં 50 વ્યક્તિ જ્યારે અંતિમ ક્રિયા કે અંતિમવિધિ માટે 20 વ્યક્તિની મર્યાદા 20 સપ્ટેમ્બર સુધી યથાવત રહેશે.

સિનેમાગૃહો-મલ્ટિપ્લેક્સ હજી પણ બંધ, ઓપન એર થિએટર 21મીથી ખોલી શકાશે.