Unseasonal Rain Live Updates: સૌરાષ્ટ્ર, કચ્છ અને મધ્ય ગુજરાતમાં ગાજવીજ સાથે સામાન્ય વરસાદની આગાહી

ગીર સોમનાથ જિલ્લાના અનેક વિસ્તારોમાં વહેલી સવારથી કમોસમી વરસાદ વરસ્યો હતો

gujarati.abplive.com Last Updated: 24 Mar 2023 02:10 PM
આગામી 24 કલાક કમોસમી વરસાદની આગાહી

રાજ્યના ખેડૂતોના માથે હજુ પણ માવઠાનું સંકટ યથાવત છે. આગામી 24 કલાક રાજ્યમાં કમોસમી વરસાદ રહેશે. સૌરાષ્ટ્ર, કચ્છ અને મધ્ય ગુજરાતમાં ગાજવીજ સાથે સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના મતે સાઉથ વેસ્ટ રાજસ્થાન તરફના સર્ક્યુલેશનના કારણે વરસાદ વરસી શકે છે. જેમાં જૂનાગઢ, પોરબંદર, જામનગર,ભાવનગર, બોટાદ,કચ્છમાં માવઠાની આગાહી છે. સાથે આણંદ, સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લીમાં વરસાદ વરસી શકે છે. તો અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે

ભાવનગરમાં વરસાદથી ખેડૂતોને નુકસાન

ભાવનગરમાં સતત એક સપ્તાહ વરસાદ વરસ્યો છે  જેના કારણે ખેડૂતોની સ્થિતિ વધુ ખરાબ બની હતી. સૌથી વધુ મહુવા, તળાજા, જેસર, સીદસર, શામપરા, ફરિયાદકા, કણકોટ સહિતના ગામોમાં ખેતી પાકને મોટું નુકસાન થયું છે. જ્યારે બાગાયતી પાકમાં કેરી, લીંબુને ખરાબ અસર પહોંચી છે. તો આ તરફ ખેડૂતોની ડુંગળી યાર્ડમાં જ પલળી ગઈ છે. ખેડૂતોની માંગ છે કે સરકાર તાત્કાલિક નુકસાનીનો સર્વે કરે અને ખેડૂતોને યોગ્ય વળતર આપવામાં આવે.

માવઠાંનો વધુ એક રાઉન્ડ આવશે

સૌરાષ્ટ્ર-કચ્છ સહિત ગુજરાતમાં ચોમાસું બેઠું હોય તેવો માહોલ જામ્યો છે. ઘણી જગ્યાએ છેલ્લા પાંચ-છ દિવસથી કમોસમી વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ, દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાનમાં વધુ એક સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ બની છે. જેના કારણે 29 માર્ચથી માવઠાંનો વધુ એક રાઉન્ડ શરૂ થઈ શકે છે. જે સતત 5 દિવસ સુધી રહી શકે છે. એટલે કે 2 એપ્રિલ સુધી વરસાદ વરસી શકે છે.

ખેડામાં પાકને નુકસાન પહોંચ્યું છે

ગુરુવારે વરસેલા કમોસમી વરસાદના કારણે ખેડામાં પાકને નુકસાન પહોંચ્યું છે. માતર તાલુકામાં માવઠાના કારણે ઘઉંનો પાક બરબાદ થયો હતો. વરસાદના કારણે પલળી જવાથી ઘઉંનો તૈયાર પાક નષ્ટ થયો હતો.

કચ્છ જિલ્લામાં કેરીના પાકને નુકસાન

આ તરફ કચ્છમાં પણ છેલ્લા એક સપ્તાહથી વરસી રહેલા માવઠાએ ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધું. ખેડૂતોના ઘઉં, મગફળી, કપાસ, જીરૂ, વરિયાળી, ઈસબગુલ અને બાગાયતી પાક કેરી અને દાડમ સહિતના પાકને વ્યાપક નુકસાન થયું છે. સતત એક સપ્તાહ તૈયાર પાક પલળતા હવે ખેડૂતોનો પાક નિષ્ફળ જવાની ભીતિ છે. જિલ્લામાં અલગ- અલગ 90 ટીમો બનાવવામાં આવી છે. જે સર્વેની કામગીરી રહી છે. હાલ તો ખેડૂતો ઝડપી સર્વે પૂર્ણ કરી તાત્કાલિક સહાયની રકમ ચૂકવે તેવી માંગ કરી રહ્યા છે. કચ્છમાં સૌથી વધુ નુકસાન ઘઉં, રાયડો, ઈસબગુલ અને જીરૂના પાકને થયું છે.

સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ શરૂ

 


આગાહી વચ્ચે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ શરૂ થયો હતો. રાજકોટ, અમરેલી, જૂનાગઢ સહિતના વિસ્તારોમાં વહેલી સવારે વરસાદ વરસ્યો હતો. રાજકોટમાં ગોંડલ પંથકમાં વહેલી સવારથી જ વરસાદ શરૂ થયો છે.  સતત ત્રણ દિવસથી વરસતા વરસાદના કારણે ખેડૂતો ચિંતામાં છે. માવઠાથી તેમનો પાક બરબાદ થઈ રહ્યો છે. તો આ તરફ અમરેલી જિલ્લામાં પણ કમોસમી વરસાદ વરસ્યો હતો. વડીયા અને આસપાસના મોરવાડા, બરવાળા, ઢૂંઢિયા, પીપળીયા સહિત ગામોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. જૂનાગઢ જિલ્લામાં પણ વહેલી સવારે કમોસમી વરસાદ નોંધાયો હતો. ગીરનાર તળેટી અને આસપાસના વિસ્તારોમાં વરસાદના કારણે ખેડૂતોના પાકને નુક્સાન થઈ રહ્યું છે.

બ્રેકગ્રાઉન્ડ

ગીર સોમનાથ જિલ્લાના અનેક વિસ્તારોમાં વહેલી સવારથી કમોસમી વરસાદ વરસ્યો હતો. તાલાલા, સુત્રાપાડા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. તાલાલાના ધાવા, આકોલવાડી, સુરવા, જાવંત્રી ગામે ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. કમોસમી વરસાદને પગલે ખેડૂતોની ચિંતા વધી છે. માવઠાના કારણે કેરીના પાકને ભારે નુક્સાન થવાની શક્યતા છે.


ગીર સોમનાથ જિલ્લામાં બે દિવસ પૂર્વે તાલાલા, ઉના અને ગીર ગઢડા તાલુકામાં ભારે પવન સાથે વરસેલા ધોધમાર વરસાદે ખેડૂતોને બરબાદ કરી નાંખ્યા હતા. ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતો મોટાભાગે કેરી, નાળિયેર સહિતના બાગાયત પાકોની ખેતી કરે છે. કેસર કેરીની ખેતી કરતા ખેડૂતો પર તો પડ્યા પર પાટુ જેવો ઘાટ ઘડાયો છે. માવઠા પહેલા પ્રતિ કિલો કાચી કેરી 80થી 100 રૂપિયે વેચાતી હતી. જેના આજે ખેડૂતોને માત્ર 5થી 10 રૂપિયા પ્રતિ કિલો મળી રહ્યા છે. ભારે પવનના કારણે આંબા પરથી કાચી કેરીઓ ખરી પડતા ખેડૂતોને ફટકો પડ્યો છે. બીજી તરફ માવઠા બાદ હવે ભાવ પણ ગગડી ગયા હતા.  આ અંગે બાગાયત અધિકારીએ કહ્યું કે માવઠાના કારણે કેસર કેરીના પાકને એક તો નુકસાન થયું જ હતું.  પાછુ કરા સાથે વરસાદ વરસતા ખેડૂતોને બેવડો ફટકો પડ્યો હતો.


રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી વરસી રહેલા કમોસમી વરસાદની ફૂલોના ભાવમાં વધારો થયો છે. માવઠાથી ફૂલોની આવકમાં ઘટાડો થયો છે. જેના કારણે ભાવ આસમાને પહોંચ્યા છે. ભાવમાં બમણો વધારો થતા ગ્રાહકો પર માઠી અસર પડી રહી છે. એક તરફ ચૈત્રી નવરાત્રી ચાલી રહી છે. ત્યારે બીજી તરફ ગુલાબનો ભાવ જે પહેલા 30 રૂપિયા હતો. તે હાલ 60 રૂપિયા પર પહોચ્યો છે. તો મોગરાનો ભાવ 140 હતો. તે હાલ 300 રૂપિયાની આસપાસ પહોંચ્યો છે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.