Unseasonal Rainfall Gujarat: ગુજરાતમાં ગઇકાલે ખેડૂતોને ફરી એકવાર માવઠાનો માર સહન કરવો પડ્યો છે. ગઇકાલે સમગ્ર ગુજરાતમાં ઉત્તરથી લઇને દક્ષિણ અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો, જેમાં ખેડૂતોના ઉભા પાકને નુકસાન પહોંચ્યું હતુ. ખેડૂતોને ઘઉંથી લઇને શાકભાજીના પાકો બગડ્યા હતા. આને લઇને હવે કોંગ્રેસના પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે રાજ્ય કૃષિમંત્રીને પત્ર લખીને નુકસાનીના વળતરની માંગ કરી છે. 


ગઇકાલે સમગ્ર ગુજરાતમાં ઠેર ઠેર માવઠું થયુ છે, ક્યાંક કરા સાથે વરસાદ ખાબક્યો તો ક્યાંક ધોધમાર વરસાદ થયો હતો, જેમાં ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે. આ નુકસાનને લઇને હવે કોંગ્રેસ સરકાર પર પ્રહારો કરી રહી છે. આજે કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે માવઠાથી ખેડૂતોને થયેલા નુકસાનનું વળતર ચૂકવવાની માંગ કરી છે. પાટણ MLA ડૉ. કિરીટ પટેલે કૃષિમંત્રીને આ અંગે એક પત્ર લખ્યો છે. ઉત્તર ગુજરાતમાં માવઠાથી ખેડૂતોને નુકસાન થયાનો આ પત્રમાં ઉલ્લેખ કરાયો છે. રાજ્યમાં જીરૂ, વરિયાળી, ઘઉં, એરંડા, રાયડા સહિતના પાકોને નુકસાન થયાની રજૂઆત આ પત્રમાં કરવામાં આવી છે. કિરીટ પટેલે રજૂઆત કરી છે કે, સત્વરે આ નુકસાનીનો સર્વે કરાવી ખેડૂતોને વળતર ચૂકવવામાં આવે.


રાજ્યના 30 તાલુકામાં બરબાદીનો વરસાદ, સૌથી વધારે આ જિલ્લામાં ખાબક્યો 


હવામાન વિભાગના જણાવ્યા મુજબ બપોરના બે વાગ્યા સુધીમાં રાજ્યના 30 તાલુકામાં વરસાદ વરસ્યો છે. રાજ્યના 30 તાલુકામાં બરબાદીનો વરસાદ વરસ્યો છે. સૌથી વધારે કચ્છમાં દોઢ ઈંચ વરસાદ વરસ્યો છે. બનાસકાંઠામાં સરેરાશ એક ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે.   જેમાં સૌથી વધારે અંજાર અને ધાનેરામાં વરસાદ નોંધાયો છે. સવારથી જ કચ્છના અનેક વિસ્તારમાં ઝાપટા અને કમોસમી વરસાદ વરસ્યો છે. જેમાં અંજાર , ગાંધીધામ અને મુન્દ્રા સહિતના વિસ્તારમાં વરસતા લોકો બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યા છે. આ સાથે જ ખેડૂતોને મોટુ નુકસાન જવાની ભીતિ છે.  


બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો છે. જેમાં વાવ, થરાદ અને લાખાણી તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો છે. આ માવઠાને પગલે જીરું, ઘંઉ અને વરિયાળીના પાકને નુકશાન થાય એવી શક્યતા છે.


મહેસાણાના બહુચરાજીમાં પડેલા ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે.  બહુચરાજી એપીએમસીમાં વરસાદી પાણી ભરાતા કપાસ રાયડો અને દિવેલા પાક બગડ્યો છે. 


મહેસાણા જિલ્લામાં વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ વરસી રહ્યો છે. યાત્રાધામ બહુચરાજીમાં કરા સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો.  જેના કારણે નિચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હતા. બહુચરાજી મંદિર બજાર તેમજ એપીએમસીના મેદાનમાં પાણી ભરાતા વેપારીઓની જણસી પલળી હતી.  કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન થયું છે તેવામાં એપીએમસીમાં જણસી પલાળતા વેપારીઓને પણ નુકસાન થયું છે. 


મોડાસા , શામળાજી , ધનસુરા , ભિલોડા પંથકમાં માવઠું પડતા ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે.  ભિલોડાના ખેરાડીમાં માવઠાથી ઘઉંના ઉભા પાકને નુકસાન થયું છે.  ઘઉં,બટાકા,ચણા સહિતના પાકોમાં પણ નુકસાન થયું છે.  ખેતરમાં ખુલ્લામાં તૈયાર પડેલો પાક પલળ્યો છે. 


21 જિલ્લામાં વરસાદને લઇને હવામાન વિભાગે આપ્યું એલર્ટ


કચ્છ સહિત સૌરાષ્ટ્રના 8 જિલ્લામાં આજે વરસાદનું યલો એલર્ટ  અપાયું છે.  મોરબી, રાજકોટ,બોટાદ, અમરેલી,ગીર સોમનાથ,ભાવનગર અને સુરેન્દ્રનગરમાં પણ આજે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. ઉત્તર ગુજરાતના ચાર જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ છે. જેમાં પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણાનો સમાવેશ થાય છે.  માવઠાની શક્યતાએ  ખેડૂતોની  ચિંતા વધારી છે.


મધ્ય ગુજરાતના ખેડા, આણંદ,વડોદરા, છોટા ઉદેપુરમાં ગાજવીજ સાથે વરસાદનું અનુમાન છે.  પંચમહાલ, દાહોદ,મહીસાગર જિલ્લામાં પણ હવામાન વિભાગે વરસાદનું  યલો એલર્ટ આપ્યું છે.