હવામાન વિભાગના જણાવ્યા મુજબ, અરબી સમુદ્રામાં લો પ્રેશ સર્જાતા તેની અસર ગુજરાતમાં જોવા મળી રહી છે. જેના કારણે અમદાવાદ સહિત ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રના કેટલાક  વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. કમોસમી વરસાદના કારણે મહેસાણાની બહુચરાજી APMCમાં કપાસ, એરંડા, ઘઉં અને કઠોળ સહીતના પાકને ભારે નુકસાન પહોંચ્યુ છે. હવામાન વિભાગની આગાહીને પગલે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વહેલી સવારથી કમોસમી વરસાદ શરુ થયો છે. ત્યારે બહુચરાજી APMCમાં કોઈપણ પ્રકારની વ્યવસ્થા ન કરાતા કપાસ, એરંડા, ઘઉ અને કઠોળ સહીતના પાક પલળ્યો છે.. તો આ બાજુ ખેરાલુ, વડનગર, કડીના કેટલાક વિસ્તારમાં પણ કમોસમી વરસાદ વરસી રહ્યો છે.


બીજી તરફ બનાસકાંઠા જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. પાલનપુર, ધાનેરા, વડગામ, ડીસા,થરાદ, વાવ,કાંકરેજ સહિતના તાલુકામાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. કાંકરેજના ખીમાંણા, ખારીયા,શિહોરી, દિયોદરના ઓઢા,ધનકવાડા,ગંગોલ ફોરણા,સરદારપુરામાં વરસાદ વરસી રહ્યો છે. કમોસમી વરસાદના કારણે એરંડા, જીરું અને શાકભાજીના પાકને નુકસાનની શક્યતા છે. તો કમોસમી વરસાદના કારણે ઠંડીનું જોર વધે તેવી સંભાવના છે.


સાબરકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે જિલ્લાના ઇડર,વડાલી,ખેડબ્રહ્મા અને તલોદ પંથકમાં કમોસમી વરસાદ શરુ થયો છે.  કમોસમી વરસાદના કારણે કપાસ, મગફળી, ડાંગર અને શાકભાજીના પાકને નુકસાનની શક્યતા છે.


યાત્રાધામ ડાકોરમાં શરુ થયેલા વરસાદથી દર્શનાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા હતી. ગ્રામ્ય વિસ્તારમાં વરસાદના કારણે ખેડૂતોના પાકને નુકસાનની શક્યતા છે. અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકામાં વહેલી સવારે શરુ થયેલા વરસાદથી ડાંગરનો તૈયાર પાક પલળ્યો. આજે વહેલી સવારથી સાણંદ તાલુકામાં છૂટોછવાયો વરસાદ શરુ થયો છે. અચાનક શરુ થયેલા વરસાદથી ખેડૂતોનો ડાંગરનો તૈયાર પાક પલળ્યો છે. હાલમાં ખેડૂતોએ પોતાના તૈયાર ડાંગરના પાકને સલામત સ્થળે ખસેડવાની કામગીરી શરુ કરી છે. ગાંધીનગરના કલોલ અને દહેગામ પંથકમાં પણ કમોસમી વરસાદ વરસ્યો હતો. અત્યારે કલોલ અને દહેગામ પંથકમાં વરસાદ વરસી રહ્યો છે. વાતાવરણમાં આવેલા પલટાના કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ ફેલાયો છે.