વાપીનાં ચાણોદ કોલોની વિસ્તારમાં બે મહિલાની હત્યાથી ચકચાર મચી ગઈ હતી. બે મહારાષ્ટ્રીયન મહિલાઓ પર શખ્સોએ આવીને તેમની પર અંધાધૂધ ફાયરિંગ કરીને ફરાર થઈ ગયા હતા. ઘટના સ્થળેથી બે જીવતા કારતૂસ પણ મળી આવ્યાં હતાં. આ સમગ્ર ઘટનાના પગલે બંને હત્યારાઓને ઝડપી પાડવા પોલીસે તપાસ શરૂ કરી છે. આ ઘટનાની જાણ થતાં જ SP સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો.


આ મામલે મળતી માહિતી પ્રમાણે, વાપીના ચણોદ કોલોનીમાં આવેલા મહાકાલી મંદિરની બાજુમાં આવેલા વિવેકાનંદ નગર સરકારી આવાસોમાં નીચેના માળે રેખાબેન બ્રહ્મદેવ મહેતા નામનાં એક વિધવા મહિલા એકલવાયું જીવન જીવતા હતા. તેની સાથે તેના વતન મહારાષ્ટ્રથી તેની સહેલી દુર્ગાબેન ખડસે છેલ્લા 10 દિવસથી સાથે રહેવા આવ્યા હતા.

બંને સહેલીઓ ઘરમાં બેસી ટીવી જોઈ રહી હતી ત્યારે જ ઘરની બહાર એક બાઈક પર બે બુકાનીધારી અજાણ્યા શખ્સો આવ્યા હતા. જેમાંથી એક શખ્શ બંદૂક જેવા હથિયાર સાથે ઘરમાં ઘૂસ્યો હતો અને ઘરમાં બેસી ટીવી જોઈ રહેલી આ બંને સહેલીઓ પર અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું.

ફાયરિંગ કર્યાં બાદ હુમલાખોરો બાઈક લઈને ફરાર થઈ ગયા હતાં. આ ઘટનાની જાણ થતાં વલસાડ જિલ્લા પોલીસ વડા સુનિલ જોશી સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને તપાસ હાથ ધરી હતી.