અમદાવાદઃ લોક રક્ષક ભરતી બોર્ડ દ્વારા લેવાયેલ વિવિધ સંવર્ગોની ભરતીઓમાં ૨૦ ટકા વેઇટીંગ લીસ્ટ બનાવવાનો રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. સામાન્ય વહીવટ વિભાગની પ્રવર્તમાન સૂચનાઓ મુજબ કોઇ એક જ સંવર્ગ માટે પરીક્ષાઓ યોજાતી હોય માત્ર તેવા પ્રસંગોએ જ અત્યાર સુધી વેઇટીંગ લીસ્ટ બનાવવામાં આવતું હોય છે. પરંતુ, લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા લેવાયેલ પરીક્ષામાં એકથી વધુ સંવર્ગની ભરતી પ્રક્રિયા હાથ ધરાઇ હતી. જેથી લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા જાન્યુઆરી – ૨૦૧૯માં લેવાયેલા પરીક્ષાનું વેઇટીંગ લીસ્ટ બનાવવામાં આવ્યું ન હતું.


પ્રેસ કોન્ફરન્સને સંબોધતાં પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું કે, લોકરક્ષક પરીક્ષાર્થીઓ વેઈટિંગ લિસ્ટની માગ સીએમ રૂપાણીને કરી હતી. ઉમેદવારોની રજૂઆતને ધ્યાને લેતાં રૂપાણી સરકારે વેઈટિંગ લિસ્ટ જાહેર કરવાનો નિર્ણય કર્યો હતો.

આ ઉપરાંત પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું કે, 8135 યુવાનોને નિમણૂક પત્રો અપાયા છે. 9713 ઉમેદવારોની પ્રક્રિયા પુર્ણ કરવામાં આવી છે. 1578 સામાન્ય વર્ગનાં ઉમેદવારોનાં દસ્તાવેજની ચકાસણી કરવામાં આવી છે.

છેલ્લા પાંચ વર્ષમાં રાજ્ય સરકારે ૧.૨૦ લાખથી વધુ યુવાનોને જુદા-જુદા વિભાગો હસ્તકની વિવિધ કેડરમાં ભરતી કરીને સરકારી સેવાઓમાં રોજગારી પૂરી પાડી છે, તે જ રીતે ગૃહ વિભાગમાં પણ છેલ્લા ૧૧ વર્ષમાં ૬૭ હજારથી વધુ યુવાનોની ભરતી કરીને નોકરી પૂરી પાડી છે. તે જ રીતે ગૃહ વિભાગ હસ્તકના પોલીસ ખાતાની વિવિધ કેડરમાં આગામી વર્ષમાં પણ ૧૨ હજારથી વધુ જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને યુવાનોને સરકારી નોકરીની તકો ઉપલબ્ધ થશે.