અમદાવાદઃ ‘કોણ જાણી શકે કાળને રે અચાનક શું થશે’એ ગીતથી પ્રખ્યાત થયેલા ભાગવત કથાકાર જીગ્નેશ દાદાનો ઓક્સિજન માસ્ક સાથેનો હોસ્પિટલનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયો ત્રણ દિવસ જૂનો છે. જો કે, હવે જીગ્નેશ દાદાની તબિયત ઘણી સારી હોવાનું તેમના નજીકના લોકો કહી રહ્યાં છે.


જીગ્નેશ દાદાની તબિયત કોરોનાના કારણે લથડતાં તેમના ચાહકોમાં ચિંતાની લાગણી પ્રસરી છે. હાલ સુરત ખાતે જીગ્નેશ દાદાની સારવાર કરાઈ રહી છે. કથાકાર જીગ્નેશ દાદાનું સ્વાસ્થ્ય ખરકાબ હોવાના સમાચાર પ્રસરતાં તેમની તબિયતના સમાચાર પૂછવા માટે પ્રસંશકો એકબીજાને ફોન કરી રહ્યા છે.

જિગ્નેશ દાદાનું સાચું નામ જિગ્નેશભાઈ ભાયશંકરભાઈ ઠાકર છે. જીગ્નેશ દાદા નો જન્મ માર્ચ ૨૫, ૧૯૮૬ ના રોજ, ગુજરાત રાજયના અમરેલી જિલ્લાના કરિયાચડ ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ શંકરભાઈ છે. અને તેમની માતાનું નામ જયાબેન છે અને તેમને એક બહેન છે. બાળપણમાં તેમના માતા પિતાની આર્થિક પરિસ્થિતિ ઘણી નબળી હતી. રાજુલા પાસે આવેલા જાફરાબાદમાં તેમણે પ્રાથમિક શિક્ષણ લીધું છે.

તમને ખાસ નવાઈ લાગે તેવી વાત તે છે કે જીગ્નેશ દાદા આમ જોવા જઈએ તો એરોનોટિકલ એન્જીનીયરીંગ કરતા હતા જો કે ત્યારબાદ તેમને ભણવાનું છોડી ને કથાનું ચાલુ કર્યું હતું.

અમરેલીની એક કોલેજમાં સંસ્કૃતના પ્રોફેસર પણ રહી ચુક્યા છે. તેઓએ સંસ્કૃતનું શિક્ષણ દ્વારકામાં લીધું છે. હાલમાં તેઓ સરથાણા જકાત નાકા પાસે નાના વરાછા, સુરત રહે છે અને સુરતમાં જ તેમના કથાના ઘણા મોટા આયોજનો થાય છે.

તેઓએ લગભગ 100 થી વધુ કથાઓ કરી છે તેમજ 150 થી વધુ એવોર્ડ મેળવેલા છે. રાધે રાધેના જપ કરતાં રહેતા અને તેનાથી જ ઓળખાતા જીગ્નેશ દાદાની વાણી મધુર છે આથી તેમના ભજન ગીતો પણ ઘણા લોકપ્રિય છે અને તેમની કથા સાંભળવી પણ લોકોને ગમે છે.