ઊંઝા: ઈતિહાસમાં સૌપ્રથમ વાર લક્ષચંડી મહાયજ્ઞ ઊંઝાના આંગણે યોજાઈ રહ્યો છે. જે આજથી એટલે બુધવારથી શરૂ થઈ રવિવાર સુધી ચાલશે. આ ઐતિહાસિક ઘટનાના સાક્ષી બનવા અને મહાયજ્ઞના દર્શન માટે માત્ર ગુજરાત જ નહીં ભારત અને વિશ્વભરમાં વસતા પાટીદારો સહિત અઢારે વર્ણના લોકો થનગની રહ્યા છે.

સવારે 7-30 કલાકે: ઉમિયાનગરમાં વાજતે ગાજતે પ્રવેશ. સંસ્થાન પ્રમુખ મણિભાઇ મમ્મીના હસ્તે દીપ પ્રાગટ્યથી ઉદ્ઘાટન.

સવારે 8-00 કલાકે : લક્ષચંડી મહાયજ્ઞનો પ્રારંભ મુખ્ય યજમાન ગૌરીબા ગણેશભાઈ પરિવાર (સનહાર્ટ)ના ગોવિંદભાઈના હસ્તે.

સવારે 9-00 કલાકે : ઉત્તરાય જ્યોતિ પીઠાધીશ્વર શારદાપીઠ દ્વારકાના શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીજી મહારાજ ધર્મસભામાં આશીર્વચન પાઠવશે.

સાંજના 5-00 કલાકે : સાંસ્કૃતિક મહોત્સવનું ઉદઘાટન તથા દાતાઓનો સન્માન કાર્યક્રમ યોજાશે. જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા સહિત રાજ્ય મંત્રીમંડળના સભ્યો હાજર રહેશે.

રાત્રે 8-00 કલાકે : મલ્ટીમીડિયા શો: અનંતકોટી બ્રહ્માંડમાં ગૂંજે આરાધના મા ભગવતીની. તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ સચિન અને જીગરનો લાઇવ કોન્સર્ટ.

ઊંઝા ખાતે 500 વીઘા જેટલી વિશાળ જગ્યામાં આકાર પામેલા ઉમિયાનગરમાં ઐતિહાસિક એવા ન ભૂતો ન ભવિષ્યતિ એવા લક્ષચંડી મહાયજ્ઞનો પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે આખી ઊંઝા નગરી ર્ધામિકમય અને ભક્તિભાવભરી જોવા મળી રહી છે.

મા ઉમિયાનું મંદિર આજથી 22 કલાક ખુલ્લુ મુકવામાં આવશે જેના કારણે લાખો ભક્તો લાઈનમાં ઉભા રહીને આરામથી દર્શન કરી શકશે. માત્ર બે જ કલાક મંદિરના દ્વાર બંધ કરવામાં આવશે.