ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધતાં ફરી લોકડાઉન લાદવામાં આવશે એવા દાવા સાથે વોટ્સએપ પર મેસેજ ફરી રહ્યા છે. ગુજરાત સરકારે આ બધી વાતોને ખોટી ગણાવી છે.


ગુજરાત સરકાર વતી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે, આજે જીવન રાબેતા મુજબ થઇ રહ્યું છે અને લોકો સામાન્ય જીવન જીવતાં થયાં છે ત્યારે ફરી લોકડાઉન લાદવાની કોઈ યોજના નથી. પટેલે કહ્યું કે, ભલે ગમે તે વાતો ફેલાતી હોય પણ કોઇ તારીખથી લઇ કોઇ તારીખ સુધી લોકડાઉ લાગુ કરવાની કોઇ યોજના નથી.

નીતિન પટેલે કહ્યું કે, રાજ્ય સરકારને માહિતી મળી છે કે કેટલાક લોકો લોકડાઉન આવવાની વાત ચલાવી રહ્યા છે. આવી અફવાઓના કારણે નાગરિકોએ ખરીદી શરૂ કરી છે પણ લોકડાઉન કરવાની કોઇ પણ પ્રકારની વિચારણા સરકારની નથી. રાજ્યમાં કોરોનાની સ્થિતિને કાબુ માં લેવાનાં સરકાર સફળ રહી છે ત્યારે લોકડાઉનની કોઇ જરૂરીયાત જણાતી નથી. તેમણે કહ્યું કે, નાગરિકોને વિનંતી છે કે, રાજ્ય સરકારની કોઇ જાહેરાત ન થાય ત્યાં સુધી કોઇ અફવામાં આવવું નહી. જનજીવન રાબેતા મુજબ ચાલુ રહેવાનું છે અને લોકડાઉન કરવાનું નથી. જાહેર જીવન તેમજ વેપાર ધંધા રાબેતા મુજબ ચાલવાનાં છે ત્યારે લોકો કોઈ ખોટી વાતોથી દોરવાય નહીં.

ગુજરાત સરકારે પહેલાં જ સ્પષ્ટતા કરી છે કે, ગુજરાતમાં હવે પછી ક્યાંય લોકડાઉન લાદવાનો સવાલ જ નથી. લોકો પોતપોતાના વિસ્તારોમાં સ્વયંભૂ રીતે લોકડાઉનનો નિર્ણય લે એ અલગ વાત છે પણ સરકાર આવો નિર્ણય નતી લેવાની. આ સ્પષ્ટતા છતાં કેટલાંક લોકોએ ગુજરાતમાં લોકડાઉન લાદવાનો નિર્ણય લેવાશે એ પ્રકારના મેસેજ વાયરલ કરીને લોકોમાં ગભરાટ ફેલાવવાનો પ્રયત્ન કર્યો છે.