હાલ સમગ્ર ગુજરાતમાં કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે અનલોક 4માં ઘણી છૂટછાટ આપવામાં આવી છે ત્યારે ગુજરાત સરકારે વધુ એક મહત્વનો નિર્ણય કર્યો છે. ડ્રાઈવિંગ લાઈસન્સ, આરસી બુક, વાહનોના ફિટનેસ સહિતના દસ્તાવેજોની સમય મર્યાદા 31 ડિસેમ્બર -2020 સુધી લંબાવવામાં આવી છે. કેન્દ્ર સરકારની ગાઈડલાઈનના આધારે આ સમય મર્યાદામાં વધારવામાં આવી છે.


કોવીડ-19 પરિસ્થિતીમાં ભારત સરકારના માર્ગ અને વાહનવ્યવહાર મંત્રાલય દ્વારા વધુ એક એડવાઈઝરી ઇશ્યૂ કરવામાં આવી છે. આ એડવાઈઝરી વાહન અને વાહન ચલાવનાર સંબંધિત દસ્તાવેજ બાબત છે. એડવાઈઝરી પ્રમાણે વાહન અને લાયસન્સ સંબંધિત દસ્તાવેજોમાંથી તા 31/12/2020 સુધી નાગરિકોને મુક્તિ આપવામાં આવેલ છે. આ દસ્તાવેજોમાં વાહનનું ફીટનેશ, ડ્રાઈવીંગ લાયસન્સ, આર.સી. બુક, પરમીટ વગેરેનો સમાવેશ થાય છે.

એન્ફોર્સમેન્ટની કામગીરી દરમિયાન એન્ફોર્સમેન્ટ અધિકારી/કર્મચારીઓએ એડવાઈઝરીને ધ્યાનમાં રાખી એન્ફોર્સમેન્ટની કામગીરી કરવાની રહેશે. વધુમાં શિખાઉ લાયસન્સ સંબંધિત છ માસની સમયમર્યાદા બાદ શિખાઉ લાયસન્સની પુનઃ શિખાઉ લાયસન્સ ઇસ્યુ કરવાની કામગીરી માટે અરજદારે ફકત વાહનના પ્રકાર સંબંધિત શિખાઉ લાયસન્સ ફી ભરવાની રહેશે. અન્ય તમામ ફી જેવી કે, સ્માર્ટકાર્ડ-અરજી ફી વિગેરે Carry Forward થશે એમ વાહન વ્યવહાર કમિશનરશ્રીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.