રાજકોટઃ ગુજરાતમાંથી ભાજપના સાંસદ અભય ભારદ્વાજને સારવાર માટે ચેન્નાઈ લઈ જવાની ફરજ પડી છે. છેલ્લા દોઢ મહિનાથી કોરોનાની સારવાર લઈ રહેલા રાજ્યસભાના સભ્ય અભય ભારદ્વાજનાં ફેફસાંમાં ગઠ્ઠા જામી જતાં ઓક્સિજન પહોંચતો નથી તેથી તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. હવે તેમને સારવાર માટે ચાર્ટર પ્લેન દ્વારા ચેન્નઈ લઈ જવામાં આવશે.


સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે ભારદ્વાજને ચેન્નઈની એમજીએમ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવશે. અભય ભારદ્વાજની સારવાર ખ્યાતનામ ડો. બાલાક્રિષ્નન કરશે. અભય ભારદ્વાજની સાથે સાથે મુંબઈના ડો. ઓઝા સહિત ત્રણ ડોક્ટરની ટીમ, અભયભાઈના પુત્ર અંશ અને તેમના ભાઈ નીતિન ભારદ્વાજ પણ ચેન્નઈ જશે.

ફેફસાં, મિકેનિકલ સર્ક્યુલર સપોર્ટ અને કાર્ડિયાક બાબતોના નિષ્ણાત ડો. કે. આર. બાલાક્રિષ્નન ફેફસાંના રોગની સારવારમાં દેશના સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર ગણાય છે. તાજેતરમાં તેમણે સુરતના 90 ટકા ડેમેજવાળા કોરોના દર્દી ડોક્ટરને સારવાર આપી સાજા કર્યા છે.

રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજ કોરોના પોઝિટિવ આવતાં 31 ઓગસ્ટથી સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તેમની વધુ તબિયત બગડતાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદથી ત્રણ ડોક્ટરોની ટીમને રાજકોટ મોકલી હતી પણ એ છતાં તેમની તબિયતમાં બહુ સુધારો ના થતાં છેવટે ચેન્નઈ લઈ જવાનો નિર્ણય લેવો પડ્યો છે.