પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નજીકના મિત્ર અને ભારતીય જનતા પાર્ટીમાં સતત કાર્યરત રહેતાં એવા દ્વારકાના જનસંઘના હરિભાઈ આધુનિકનું 88 વર્ષની વયે રાજકોટમાં અવસાન થયું છે. દ્વારકા દેવસ્થાન સમિતિમાં છેલ્લા આશરે વીસેક વર્ષથી સદસ્ય તરીકે સેવા આપતા હતા.


ખૂબ જ સરળ અને સાદગીભર્યું જીવન જીવતા હરિભાઈ આધુનિક વડાપ્રધાન મોદીના પ્રથમ હરોળના મિત્ર ગણાય છે.

મોદી જ્યારે પણ દ્વારકાની મુલાકાતે જતા ત્યારે હરિભાઈ આધુનિકને અચૂક મળતા – ક્યારેક તમામ પ્રોટોકોલ્સને બાજુએ મૂકીને પણ. હરિભાઈ એમના સાદગીભર્યા અને નમ્ર સ્વભાવને કારણે જાણીતા હતા. જામનગરનાં ભાજપના સંસદસભ્ય પૂનમબેન માડમ અને રાજ્યસભાના સદસ્ય પરિમલ નથવાણીએ હરિભાઈ આધુનિકને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

દ્વારકા ભાજપના પાયાના કાર્યકર્તા ગણાતા હરિભાઈ આધુનિક જનસંઘ સમયે જેલમાં પણ ગયા હતા. ગુજરાતમાં વિધાનસભા, લોકસભા, નગરપાલિકા કે પછી તાલુકા પંચાયતની ચૂંટણી સમયે હરિભાઈ આધુનિક હાથમાં થેલો લઈને દુકાને દુકાને અને ઘરે ઘરે પહોંચીને દ્વારકાધીશનો પ્રસાદ આપી ભાજપને મત આપવા માટે અપીલ કરતા હતા.


રાજ્યસભા સાંસદ પરિમલભાઈ નથવાણીએ દ્વારકાના વયોવૃદ્ધ કૃષ્ણ ભક્ત તથા દ્વારકા દેવસ્થાન સમિતિના વરિષ્ઠ સભ્ય હરિભાઈ આધુનિકના અવસાન અંગે શોક વ્યક્ત કર્યો છે. એક શોક સંદેશામાં નથવાણીએ જણાવ્યું કે હરિભાઈ આધુનિક દ્વારકાના વિકાસ માટે થતા સંન્નિષ્ઠ પ્રયાસોમાં હંમેશા સક્રિય અને સહભાગી રહ્યા. તેઓ પોતાના સૌમ્ય અને મૃદુ સ્વભાવ તથા રચનાત્મક અભિગમને લીધે સર્વપ્રિય રહ્યા હતા. તેમના અવસાન બદલ હું મારી આદરાંજલિ અર્પિત કરું છું અને ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના કરું છું કે દિવંગત આત્માને શ્રીજી ચરણોમાં પરમ પદ પ્રાપ્ત થાય તથા તેમનાં સ્વજનોને સાંત્વના પ્રાપ્ત થાય. જય દ્વારકાધીશ.