ગુજરાતમાં કઈ દુકાનો અને હોટલો-રેસ્ટોરન્ટ્સ ખોલવા પર મૂકાયો પ્રતિબંધ ? જાણો રૂપાણી સરકારની મહત્વની જાહેરાત ?
એબીપી અસ્મિતા વેબ ટીમ | 01 Jul 2020 10:12 AM (IST)
જો કે આ નિયમ કન્ટેઈનમેન્ટ અને માઈક્રોકન્ટેઈનમેન્ટ ઝોનની બહાર આવેલી દુકાનોને લાગુ પડશે.
ગાંધીનગરઃ નરેન્દ્ર મોદી સરકારે લોકડાઉન હટાવવા અંગે મહત્વની જાહેરાત કરી છે અને સોમવારથી જ દેશભરમાં અનલોકનો બીજો તબક્કો શરૂ થઇ ગયો છે. કેન્દ્ર સરકારે આ માટે વિશેષ ગાઇડલાઇન બહાર પાડી છે ત્યારે ગુજરાત સરકારે પણ અનલોક-2 દરમિયાન રાજ્યમાં કેટલીક મોટી છૂટછાટો જાહેર કરી છે. મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ અનલૉક 2 અંતર્ગત આવતી કાલ 1 જુલાઈ અને બુધવારથી ગુજરાતમાં દુકાનોને રાત્રે 8 વાગ્યા સુધી કામકાજ ચાલુ રાખવા દેવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત હોટલ અને રેસ્ટોરન્ટ પણ રાત્રે 9 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે તેવો નિર્ણય મુખ્યમંત્રીએ કર્યો છે. જો કે આ નિયમ કન્ટેઈનમેન્ટ અને માઈક્રોકન્ટેઈનમેન્ટ ઝોનની બહાર આવેલી દુકાનોને લાગુ પડશે. કન્ટેઈનમેન્ટ અને માઈક્રોકન્ટેઈનમેન્ટ ઝોનની અંદર આવેલી દુકાનો તથા રેસ્ટોરન્ટ્સ તો બંધ જ રાખવી પડશે. મુખ્ય મંત્રીએ એમ પણ જણાવ્યું છે કે, ભારત સરકારના દિશા નિર્દેશો અનુસાર સમગ્ર રાજ્યમાં રાત્રે 10 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી કરફ્યુનો અમલ કરવાનો રહેશે. કેન્દ્ર સરકારે તારીખ 1 જુલાઈથી અનલૉક 2 અંતગર્ત જે નવા દિશા નિર્દેશો આપેલા છે તેને પગલે મુખ્યમંત્રીએ ગુજરાતમાં દુકાનો અને હોટલ રેસ્ટોરન્ટ માટે આ બે મહત્વપૂર્ણ કર્યા છે. આ ઉપરાંત એક દુકાને પાંચથી વધુ લોકોને ઉભા રહેવાની છૂટ આપવામાં આવી છે પણ માસ્ક પહેરવા સહિતના નિયમોનું પણ પાલન કરવાનું રહેશે. આ ઉપરાંત 31 જુલાઇ સુધી સ્કૂલ-કોલેજોને બંધ રાખવામાં આવશે.